શહેરના ઓગણજ નજીક આવેલા ઉમિયા પાર્ટી પ્લોટના માલિકની સનસનાટીભરી હત્યાના કેસમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપી પૃથ્વીસિંહ સોનાજી વાઘેલાની અમદાવાદ રીંગરોડ પરથી ધરપકડ કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસે હ્લ પાર્ટી પ્લોટના માલિક ગોરધનભાઇ પટલેની હત્યાના ઇરાદા અંગે હાથ ધરેલી તપાસમાં આરોપી પૃથ્વીસિંહે કબૂલાત કરી હતી કે, ગોરધનભાઇએ તેની પાસેથી ઉછીના લીધેલા રૂ.ત્રણ લાખ પાછા આપતા ન હતા અને તેથી કંટાળીને તેણે તેમની હત્યા કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ઓગણજ ખાતે મારૂતિનંદન સોસાયટીમાં રહેતા અને ઉમિયા ફાર્મ નામનો પાર્ટી પ્લોટ ધરાવતા ગોરધનભાઇ નાગરદાસ પટેલને ત્રણ દિવસ પહેલાં માથામાં ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા અને તેમની લાશ ખુલ્લી અવાવરૂ જગ્યાએ ફેંકી દીધેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ સોલા હાઇકોર્ટ પોલીસ અને શહેર ક્રાઇમબ્રાંચની ટીમના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના અને ટોલનાકાના સીસીટીવી ફુટેજ કબ્જે કરી તપાસ આદરી હતી, જેમાં એક સીસીટીવી ફુટેજમાં એક શખ્સ ચાલતો જઇ રહ્યો છે અને થોડીવારમાં આવેલી બાઇક પાછળ બેસીને ફરાર થઇ જતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. આ ફુટેજના આધારે પોલીસે આજે ઓગણજ ગામમાં જ રહેતા આરોપી પૃથ્વીસિંહ સોનાજી વાઘેલાની રીંગરોડ પરથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો હતો કે, મૃતક ગોરધનભાઇ ચારેક મહિના પહેલા તેની પાસેથી ઉછીના રૂ.ત્રણ લાખ લઇ ગયા હતા અને મને મહિનામાં પરત કરી દેવાનો વાયદો કર્યો હતો. જો કે, મુદત પૂરી થવા છતાં ગોરધનભાઇ દ્વારા મારા ત્રણ લાખ રૂપિયા પાછા અપાતા ન હતા અને મારે સગવડ થશે ત્યારે આપીશ તેવો જવાબ અપાતો હતો, તેથી અકળાઇને તેણે તેમની હત્યાનું કાવતરૂ ઘડયું હતું. તે મુજબ, તા.૨૩-૪-૨૦૧૮ના રોજ ગોરધનભાઇને પ્લોટ જોવાના બહાને ઓગણજ ગામની સીમમાં બોલાવી તેમને માથામાં અને મોંઢાના ભાગે ધારિયાના ઘા ઝીંકી પતાવી દીધા હતા. પોલીસે આરોપીની કબૂલાત બાદ સમગ્ર મામલામાં જરૂરી ગુનો નોંધી આગળની તપાસ જારી રાખી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ