પૂણેના ભીમા કોરેંગાવ હુલ્લડની સાક્ષી પૂજાનો મૃતદેહ શહેરથી ૨ કિલોમીટર દૂર વાડાગાંવના એક કૂવામાંથી મળી આવ્યો છે. બે દિવસ પહેલા જ પૂજાના પરિવારજનોએ શિક્રાપુર પોલીસ સ્ટેશનમાં પૂજા ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પૂણેના ભીમા કોરેગાંવમાં એક જાન્યુઆરીએ હિંસા ભડકી હતી. આગ ચાંપી અને પથ્થરમારાની ઘટના ઘટી હતી. જેમાં પૂજાના પરિવારનું ઘર બળીને ખાખ થઈ ગયુ હતુ. ઘરના લોકોની ફરિયાદને પગલે ૯ લોકો પર પોલીસે આત્મહત્યાને પ્રોત્સાહન આપવાનો કેસ નોંધી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં હત્યાનો કેસ લાગી રહ્યો નથી. આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ છોકરીનું પાણીમાં ડૂબવાથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે ૩૦૬ની કલમ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.પૂજાના પરિવારજનોનો કોર્ટમાં ઘરની જમીનના વિવાદને લઈને કેસ ચાલી રહ્યો છે. ભીમા કોરેગાંવ હુલ્લડો દરમિયાન ઘરનું નુકસાન થયા બાદ પૂજાનો પરિવાર સંઘર્ષ કરી રહ્યો હતો, જ્યાં તેમણે ઘર બનાવ્યુ હતુ. ત્યાંના માલિકની સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો.