ગુજરાત પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણી બાળકીના બળાત્કાર અને હત્યાના ગુનાને ગણતરીના દિવસોમાં ઉકેલીને ગુનેગારોને નશ્યત મળે એ પ્રકારે ઉદાહરણરૂપ કામ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ નરાધમોને પકડવામાં ગુજરાત પોલીસને મળેલી સફળતાને બિરદાવી હતી. ઘાસના ઢગલામાંથી સોય શોધવા સમાન આ કામ ગુજરાત પોલીસે ટેકનોલોજીની મદદથી કુનેહપૂર્વક પાર પાડ્યું છે. તેમણે ગુનેગારોને કડકમાં કડક સજાનો દાખલો બેસાડવામાં સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના રાક્ષસી કૃત્ય કરનારાઓની કોઈ જાતિ હોતી નથી કે, તેમને કોઈ ધર્મ, કોઈ સમાજ કે વિસ્તાર સાથે સંબંધ હોતો નથી. પાંડેસરાનો આ કેસ અત્યંત અટપટો હતો, બાળકીની ઓળખ મેળવવી ખૂબ અઘરૂં હતું. આ ઘટના બની ત્યારથી ગુજરાત પોલીસ, વિશેષ કરીને સુરત પોલીસ અને અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાંચે રાત-દિવસ એક કરીને આવું રાક્ષસી કૃત્ય કરનારાઓને શોધવા પોતાની તમામ શક્તિઓ કામે લગાડી હતી. રાજ્ય સરકાર તરફથી તપાસ કામગીરીનું સતત મોનીટીરીંગ કરવામાં આવી રહ્યું હતું અને આખરે ગુનેગારો આવા ગુના કરતા સો વાર વિચાર કરે એ પ્રકારે ગુજરાત પોલીસે સફળતા મેળવી છે. સુરતના પાંડેસરાની ચોંકાવનારી અને ભયાનક ઘટના વિષે વિગતો આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તા. ૬.૪.૨૦૧૮ના રોજ સવારે ૬.૪૫ કલાકે મોેનીંગ વોકમાં નીકળેલા બે બહેનોએ એક અજાણી છોકરીની લાશ સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જોઈ હતી. તેમણે જ પાંડેસરા પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ કરી હતી. તત્કાળ પાંડેસરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પુેક્ટર વી.પી. ગોલ અને પોલીસોએ અજાણી લાશના મૃત્યુનું કારણ શોધવા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી હતી. તે દિવસે સાંજે ૭.૦૦ કલાકે પોલીસે ખૂન અને બળાત્કાર તથા પોક્સો હેઠળ ફરીયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી હતી.
અજાણી બાળકીના વાલી વારસને શોધવા સુરત પોલીસે સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાની મદદ લઈને વ્યાપક પ્રયત્નો કર્યા હતા એટલું જ નહિ પોસ્ટરો છપાવીને ઓળખ મેળવવા પરિશ્રમ કર્યો હતો. ગુજરાત પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમને પણ સુરત શહેર પોલીસની મદદમાં મોકલી હતી.