મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ L&T ના પૂર્ણ સમયના ડાયરેકટર શ્રી શૈલેન્દ્ર રોયે ગાંધીનગરમાં મળીને મુખ્યમંત્રી રાહતનિધિ માટે રૂ.૧૦ કરોડ પ૮ લાખ ૮૭ હજારની રકમનો ચેક અર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં બનાસકાંઠા-પાટણમાં અતિવૃષ્ટિને પરિણામે જે ભારે પૂર અને વરસાદી કહેર સર્જાયો તેના અસરગ્રસ્તોને ઝડપભેર પૂર્વવત કરવાના રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોમાં મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો-દાન આપી સહયોગ કરવા કરેલી અપીલનો પ્રતિસાદ આપતાં એલ એન્ડ ટી એ આ રાહત સહાયનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ લાર્સન ટુબ્રોની આ સમાજ દાયિત્વ ભાવના અને આપત્તિ પીડિતો પ્રત્યેની સંવેદનાની સરાહના કરી હતી. આ ઉપરાંત ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ પણ સ્વૈચ્છિક એકત્ર કરેલો રૂ.૯ લાખ ૬૭ હજારનો ફાળો પૂરપીડિતોના પુનર્વસન માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં આપ્યો છે.