પાટનગર દિલ્હીથી જો માર્ગ મારફતે મુંબઈ જવામાં આવે તો હાલમાં ૨૪ કલાકનો સમય લાગે છે પરંતુ ટૂંક સમયમાં જ આ યાત્રાને ૧૨ કલાકની અંદર જ પૂર્ણ કરી શકાશે. સરકાર સાયબરસિટી ગુરુગ્રામથી મુંબઈ વચ્ચે એક્સપ્રેવે બનાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ૬૦૦૦૦ કરોડ રૂપિયાની કિંમતની આ ત્રણ વર્ષમાં તૈયાર થશે. આ એક્સપ્રેસ વે દેશના સૌથી પછાત બે જિલ્લા હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદથી થઇને પસાર થશે. આ એક્સપ્રેસ વે બનવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેના ૧૪૫૦ કિલોમીટરના અંતરને ઘટાડીને ૧૨૫૦ કિમી કરી દેવામાં આવશે. એટલું જ નહીં આ યાત્રા ૨૪ કલાકના બદલે ૧૨ કલાકમાં પૂર્ણ કરી શકાશે. ગડકરીએ કહ્યું હતું કે, આ એક્સપ્રેસ વેના નિર્માણ પર આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કામ શરૂ થઇ જશે અને આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ એક્સપ્રેસ વે ગુરુગ્રામના રાજીવ ચોકથી શરૂ થશે. સોહના બાયપાસના વર્તમાન અલાઈમેન્ટ પર આનું નિર્માણ થશે અને વડોદરા સુધી જશે. એક્સપ્રેસ વે બનાવવા માટે વડોદરાથી સુરત વચ્ચે કામ માટે ટેન્ડર જારી કરવામાં આવી ચુક્યા છે. સુરતથી મુંબઈ માટે ટેન્ડર ટૂંકમાં જ જારી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ એક્સપ્રેસ વે રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશના પછાત જિલ્લામાં વિકાસ મુક્ત માર્ગ બનશે. કેટલાક પછાત વિસ્તારો ગુરુગ્રામની જેમ ચમકી ઉઠશે.
આ વિસ્તારોમાં ઔદ્યોગિક અને નાણાંકીય વિકાસથી રોજગારીની વ્યાપક તકો સર્જાશે. હાલમાં અમે વર્તમાન હાઈવેને પહોળા કરવાના બદલે નવા માર્ગોના નિર્માણ ઉપર ધ્યાન આપી રહ્યા છે.