રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેડ લોન સાથે જોડાયેલા નિયમોમાં કોઇપણ છુટછાટ આપવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, કઠોર નિયમોને અમલી કરવામાં આવ્યા બાદ લોન લેનાર લોકો પોતાની હદમાં રહેશે અને બેંક પણ કોઇપણ પ્રકારની લોનને છુપાવી શકશે નહીં. આ મામલાથી વાકેફ રહેલા બે વરિષ્ઠ અધિકારીઓએ આજે આ મુજબની માહિતી આપી હતી. દિલ્હીમાં હાલમાં બંધ બારણે અતિમહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જિત પટેલે સાંસદો સમક્ષ આ મુજબની વાત કરી હતી. રિઝર્વ બેંકે ૧૨મી ફેબ્રુઆરીના દિવસે સ્ટ્રેસ્ડ એસેટના નિયમોમાં ફેરફાર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીના એક દિવસના પણ લોન પર ડિફોલ્ટ કરવાની સ્થિતિમાં બેંકોને રિઝોલ્યુશન પ્લાન ઉપર કામ શરૂ કરવું પડશે. બેંકો હવે આ નિયમોને વધુ કઠોર બનાવી રહી છે. તેમનું કહેવું છે કે, આ પ્રકારના બેડલોનમાં અતિ ઝડપથી વધારો થતાં તકલીફ ઉભી થઇ રહી છે. રિઝર્વ બેંકના નવા નિયમોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બેંકોને ડિફોલ્ટના ૧૮૦ દિવસની અંદર રિઝોલ્યુશન પ્લાન તૈયાર કરવાના રહેશે. જો આવું નહીં કરી શકાય તો એ લોન એકાઉન્ટ દેવાળિયા તરીકે ગણાવીને કોર્ટમાં મોકલી દેવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, રિઝર્વ બેંક સારી રીતે જાણે છે કે, બેંકિંગ સિસ્ટમને ક્લીન કરવા માટે શું પગલા લેવાની જરૂર છે. કયા કયા નિયમોનો દુરુપયોગ થઇ શકે છે. તે અંગે પણ તેની પાસે માહિતી છે. આરબીઆઈએ તમામ રિસ્ટ્રક્ચરિંગ સ્કીમો થોડાક દિવસ પહેલા પરત લઇ લીધી હતી. કારણ કે, આના બહાને બેડ લોનને બેલેન્સસીટમાં દર્શાવવામાં વિલંબ થઇ રહ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ