જંગી દેવાનો સામનો કરી રહેલી એર ઈન્ડિયાના ખાનગીકરણની યોજનાને આજે વધુ એક મોટો ફટકો પડ્યો હતો. ઈન્ડીગો, જેટ એરવેઝ બાદ હવે તાતા ગ્રુપે પણ એર ઈન્ડિયાની હિસ્સેદારી ખરીદવાની સ્પર્ધામાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. તાતા ગ્રુપે પણ કહ્યું છે કે, જટિલ શરતો રહેલી છે. સરકાર દ્વારા મુકવામાં આવેલી શરતો ખુબ મુશ્કેલ છે. સરકાર એર ઈન્ડિયામાં ૭૬ ટકા હિસ્સેદારી વેચી દેવાની યોજના ધરાવે છે. જોકે, હજુ સુધી તેને કોઈ નકર બિડર મળી રહ્યા નથી. સરકારે ધારા ધોરણો અને નિયમો જાહેર કર્યા બાદ કોઈ કંપની આગળ આવી રહી નથી. જેથી સરકાર સામે નવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે, દેવામાં ડુબેલી એર ઇન્ડિયાના ખાનગીકરણની યોજનાને ગઈકાલે મોટો ફટકો પડ્યો હતો. ઇન્ડીગો બાદ જેટ એરવેઝે પણ ગઈકાલે જાહેરાત કરી હતી કે તે એર ઇન્ડિયાની બોલીમાં ભાગ લેશે નહી. થોડાક દિવસ પહેલા જ ઇન્ડીગોએ એર ઇન્ડિયાના અધિગ્રહણની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. જેટ એરવેઝના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ અમિત અગ્રવાલે કહ્યુ હતુ કે અમે એર ઇન્ડિયાના ખાનગીકરણના સરકારના પ્રયાસની પહેલનુ સ્વાગત કરીએ છીએ જો કે ઇન્ફોર્મેશન મેમોરેન્ડમમાં ઉલ્લેખ કરવામાં આવેલી શરત પર વિચારણા કરવા અને પોતાની સમીક્ષા ના પરિણામના આધાર પર અમે આ ખાનગીકરણની પ્રક્રિયામાં સામેલ થવા જઇ રહ્યા નથી.
કોઇ સમય ભારતીય એરલાઇન્સ સેક્ટરમાં બેતાજ બાદશાહ તરીકે રહેલી એર ઇન્ડિયાએ ધીમે ધીમે તેની ચમક ગુમાવી દીધી છે. દુનિયાભરમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા એરલાઇન્સના માર્કેટમાં નવા લો કોસ્ટ ખાનગી એરલાઇન્સની સામે એર ઇન્ડિયાની માર્કેટ હિસ્સેદારી સતત ઘટતી રહી છે. સરકારી આંકડામાં કહેવામાં આવ્યુ છે કે તે એર ઇન્ડિયા પર હાલમાં ૫૦૦૦૦ કરોડથી વધુનુ દેવુ છે.
આગળની પોસ્ટ