ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે ફાસ્ટ વોર અથવા તો ઉપવાસની લડાઈ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજઘાટ ઉપર ઉપવાસ કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપવાસ કરનાર છે. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર દલિત અને લઘુમતી વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સોમવારના દિવસે પ્રતિક ઉપવાસ કર્યા હતા. ભાજપે કોંગ્રેસ પર સંસદના બજેટ સત્રને ખોરવી નાખવાનો આક્ષેપ કરીને પહેલાથી જ ઉપવાસ કરવા માટે જાહેરાત કરી હતી પરંતુ હવે મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ પણ સામેલ થનાર છે. મોદી પોતાની ઓફિસમાં ઉપવાસ કરનાર છે. ભાજપના નેતા જીવીએલ નરસિમ્હારાવે કહ્યું છે કે પાર્ટીના તમામ સાંસદ ૧૨મી એપ્રિલના દિવસે ઉપવાસ કરના છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના બિનલોકશાહી વલણ સામેના વિરોધમાં દિવસ દરમ્યાન લોકસભાના તમામ સાંસદ ઉપવાસ કરશે. રાજ્યસભાના સાંસદ પણ દેશના જુદા જુદા ભાગોમાં જઈને વિપક્ષના બિનજવાબદારપૂર્વકના વલણને લોકો સમક્ષ રજુ કરશે. અમિત શાહ આવતકાલે કર્ણાટકના હુબલીમાં ધરણા કરશે. એક પ્રશ્નના જવાબમાં રાવે કહ્યું છે કે આના ઉપર પહેલાથી જ ચર્ચા થઈ ચુકી છે. સંસદમાં કામગીરી નહીં થવાના કારણે પાર્ટીના તમામ સાંસદોએ આ ગાળા માટે પગાર પણ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ રાજ્યસભાના સાંસદ અને સીપીઆઈના નેતા ડી.રાજાએ કહ્યું છે કે બજેટસત્ર જો ચાલ્યુ નથી તો તેના માટે ભાજપ જવાબદાર છે. તેમણે ઉમેર્યું હતું કે કાવેરી વિવાદ, આંધ્રપ્રદેશને ખાસ રાજ્યો આપવાની બાબત, દલિતોના હિતોની સુરક્ષા જેવા મામલા ખૂબ જ ગંભીર છે. ભાજપ આને લઈને ગંભીર નથી. બીજી બાજુ રાહુલ ગાંધીના ઉપવાસના કારણે કોંગ્રેસના નેતાઓની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો કારણ કે કેટલાક કોંગ્રેસી નેતા છોલે ભટુરે ખાઈને ઉપવાસ પર આવ્યા હતા.
આગળની પોસ્ટ