ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગ્લોરમાં જંગ ખેલાશે. બંને ટીમો પોતપોતાની મેચ જીતીને જોરદાર શરૂઆત કરવા ઇચ્છુક છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઈઝ હૈદરાબાદ અને રહાણેના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ જંગ ખેલાશે. રાજસ્થાનમાં બટલર, બેન સ્ટોક જેવા ધરખમ ખેલાડીઓ રહેલા છે. બીજી બાજુ સનરાઈઝમાં પણ શિખર ધવન, કેન વિલિયમસન જેવા પ્લેયર હોવાથી આ મેચ રોચક રહેશે. શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. પ્રથમ મેચમાં ગઇકાલે ચેન્નાઈ સુપરે ગયા વર્ષના ચેમ્પિયન મુંબઈ ઉપર જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. અગાઉની સિઝન ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે, દરેક સિઝનમાં ગુજરાતના કોઇ ખેલાડીએ ભવ્ય દેખાવ કર્યો છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમાનાર છે જેમાં ઇરફાન, યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટાર ખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે.
આગળની પોસ્ટ