દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ શ્રેણી ગુમાવી દેનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ચાહકો માટે સારા સમાચાર છે. તેમને આઈસીસીએ ૨૦૧૭ની વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સહિત અનેક એવોર્ડ માટે ચૂંટી કાઢ્યા છે. વનડે ક્રિકેટર ઓફ દ યર ઉપરાંત ટેસ્ટ રેંકિંગમાં પણ ટોપ ઉપર રહેનાર ભારતીય કેપ્ટનને આઈસીસી ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ અપાયો છે. બીજી બાજુ ટેસ્ટ ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથના નામ ઉપર રહ્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૬થી ૨૦૧૭ સુધી ટેસ્ટમાં ૭૭.૮૦ રનની સરેરાશ સાથે ૨૨૦૩ રન કર્યા છે જેમાં એક સદીનો સમાવેશ થાય છે. બીજી બાજુ વનડેની વાત કરવામાં આવે તો તેના ઉપર ૮૨.૬૩ની સરેરાશ સાથે ૧૮૧૮ રન રહ્યા છે જ્યારે ટી-૨૦માં ૧૫૩ રનના સ્ટ્રાઇક રેટ સાથે ૨૯૯ રન બનાવ્યા છે. બીજી વખત આવું બન્યુ છે જ્યારે કોઇ ભારતીય ક્રિકેટરને ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ મળ્યો છે. ગયા વર્ષે અશ્વિનને આ એવોર્ડ મળ્યો હતો. ટેસ્ટ ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ સ્ટીવ સ્મિથના નામે રહ્યો છે. સ્ટિવ સ્મિથે ૧૬ ટેસ્ટ મેચોમાં સૌથી વધારે ૧૮૭૫ રન કર્યા છે. તેની સરેરાશ ૭૮.૧૨ રનની રહી છે. આ ગાળા દરમિયાન સ્ટીવ સ્મિથ આઠ સદી અને પાંચ અડધી સદી બનાવી છે. આઈસીસી વનડે ટીમમાં ડેવિડ વોર્નર, રોહિત શર્મા, વિરાટ કોહલી, બાબર આઝમ, ડિવિલિયર્સ, ડીકોક, બેનસ્ટોક, ટ્રેન્ટ બોલ્ટ, રશીદ ખાન, જસપ્રિત બુમરાહનો સમાવેશ ખરાયો છે. જ્યારે ટેસ્ટ ટીમમાં એલ્ગર, વોર્નર, કોહલી, સ્મિથ, પુજારા, બેનસ્ટોક, ડીકોક, અશ્વિન, સ્ટાર્ક, રબાડા અને એન્ડરસનનો સમાવેશ કરાયો છે.