ભાજપના ૩૮માં સ્થાપના દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એકવાર પાર્ટીના કાર્યકર્તાઓની ભરપુર પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કાર્યકર્તાઓના લીધે જ પાર્ટીની તાકાત આજે અનેકગણી વધી ગઈ છે. ભાજપને નવી ઉંચાઈ ઉપર લઇ જવા માટે પાર્ટીના કાર્યકરોને મોદીએ ક્રેડિટ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ ન્યુ ઇન્ડિયાની પાર્ટી છે. તેમની પાર્ટી ભારતની ડાયવર્સીટી, સાંસ્કૃતિક મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે. ૧૨૫ કરોડ ભારતીયોની મજબૂતીમાં વિશ્વાસ રાખે છે. મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહના નેતૃત્વમાં પાર્ટીએ એક પછી એક સિદ્ધીઓ હાસલ કરી છે. મોદીએ એમ પણ કહ્યું છે કે, કાર્યકર્તાઓને સ્થાપના દિવસના પ્રસંગે તેઓ શુભેચ્છા પાઠવે છે. મોદીએ વિડિયો મારફતે તથા મોદી મોબાઇલ એપ મારફતે સ્વૈચ્છિક કાર્યકરો સાથે આજે વાતચીત કરી હતી. બીજી બાજુ સ્થાપના દિવસના પ્રસંગે ભાજપના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, જો કોઇ પાર્ટીમાં શિસ્તની મજબૂત પરંપરા છે તો તે પાર્ટી ભાજપ છે. સેક્યુલર શબ્દનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે પરંતુ આજના દિવસમાં આ શબ્દના લીધે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઇ રહ્યા છે. અન્ય રાજકીય પક્ષો પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસમાં લાગેલા છે. અમિત શાહે આજે મુંબઈમાં સ્થાપના દિવસના દિવસે ભવ્ય ઉજવણીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના પરિણામ સ્વરુપે મુંબઈમાં ટ્રાફિકને અસર થઇ હતી. કેટલીક ટ્રેનો મોડેથી દોડી હતી. ભાજપના કાર્યકરો માટે ખાસ ટ્રેન સેવા રાખવામાં આવી હતી. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે, કેટલીક ટ્રેનો મોડેથી પહોંચી હતી પરંતુ ઉત્સાહનો અભાવ દેખાયો ન હતો.
આગળની પોસ્ટ