મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સતત બીજીવાર રાજય શાસનનું દાયિત્વ સંભાળ્યા બાદ પ્રથમ વખત આજે સવારે આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન-પૂજન અંબાજી યાત્રાધામમાં કર્યા હતા. શ્રી વિજયભાઇ ગઇ રાત્રે અંબાજી પહોંચ્યા હતા અને આજે સવારે માતાજીના પૂજન-અર્ચન શ્રીમતી અંજલીબેન રૂપાણી સાથે કર્યા હતા. તેમણે રાજયના સૌ નાગરિકોની સમગ્રતયા સુખાકારી શાંતિ, સલામતિ અને રાજયના ઉત્તરોત્તર વિકાસમાં દૈવીશક્તિના કૃપા આશિષ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના માતાજીના શ્રી ચરણોમાં કરી હતી. મુખ્યમંત્રીશ્રીના આગમન પ્રસંગે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી દિલીપ રાણાએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રેન્જ આઇ.જી. શ્રી પિયુષ પટેલ, પોલીસ અધિક્ષક શ્રી નિરજ બડગુજર, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી એસ.જે.ચાવડા, દાંતા પ્રાંત અધિકારી શ્રી બી.ડી.વાઘેલા સહિત અધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.