Aapnu Gujarat
બિઝનેસ

વ્યાજદરમાં ફેરફાર થશે કે કેમ તે અંગે પાંચમીએ નિર્ણય થશે

આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય પોલિસી મિટિંગ (એમપીસી) ચોથી અને પાંચમી એપ્રિલના દિવસે મળનાર છે જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવશે કે કેમ તેને લઇને નિર્ણય લેવામાં આવનાર છે. પોલિસી સમીક્ષાની મિટિંગ વર્ષ ૨૦૧૮-૧૯ માટે તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા રહેશે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ફેરફાર કરવાના સંદર્ભમાં કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા આ સપ્તાહમાં વ્યાજદર યથાવત રાખવામાં આવશે. સ્થાનિક ફુગાવાને ધ્યાનમાં લઇને આરબીઆઈ વ્યાજદરોને યથાવત રાખી શકે છે. બજેટ બાદ આ પ્રથમ નાણાંકીય નીતિ સમીક્ષા રહેનાર છે. આ વખતે બજેટમાં ફિસ્કલ કન્સોલીડેશન રોડમેપથી અલગ થઇ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં આ બેઠક મળનાર છે જેમાં ચોથીએ બેઠક શરૂ થયા બાદ પાંચમી એપ્રિલના દિવસે નિર્ણય લેવામાં આવનાર છે. રિટેલ ફુગાવામાં ઘટાડાના અનુસંધાનમાં વ્યાજદરમાં કાપ મુકવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉપર દબાણ આવી રહ્યું છે. જો કે, આરબીઆઈ હાલમાં વ્યાજદરને યથાવત રાખવા ઇચ્છુક છે. ગયા મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં વધુ બે વખત વધારો થવાનું ચિત્ર પણ રહેલું છે. આરબીઆઈ દ્વારા કોઇપણ નિર્ણય લેતા પહેલા ક્રૂડની કિંમતમાં થઇ રહેલા વધારાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ક્રૂડની કિંમત હાલમાં પ્રતિબેરલ ૭૦ ડોલર સુધી પહોંચી ગઈ છે. બેંક ઓફ અમેરિકા મેરિલીન્ચનું કહેવું છે કે, વ્યાજદરમાં હાલ યથાવ સ્થિતિ રહેશે. જો કે, ઓગસ્ટ મહિનાની પોલિસી સમીક્ષામાં રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. જો મોનસુન યથાવત રહેશે તો વ્યાજદરમાં કાપ મુકવામાં આવી શકે છે. ઇન્ડસ્ટ્રી ચેમ્બર પણ માને છે કે, રિઝર્વ બેંક દ્વારા હાલમાં યથાસ્થિતિ રાખવામાં આવશે. કારણ કે સરકારે બજેટમાં તેમની પેદાશો બદલ લઘુત્તમ સમર્થન મૂલ્ય ખેડૂતોને ૧.૫ ગણુ આપવા ઇચ્છુક છે. બીજી બાજુ રેપોરેટ હાલમાં છ ટકા છે. રિવર્સ રેપોરેટ ૫.૭૫ ટકા, એમએસએફ અને બેંક રેટ ૬.૨૫ ટકા છે. કોટક મહિન્દ્રા બેંકના અધિકારીઓનું કહેવું છે કે, ફુગાવો જ્યારે ૨૦૧૮-૧૯ દરમિયાન ૪.૫ ટકાની આસપાસ છે ત્યારે વ્યાજદર યથાવત રહેશે. આના પરિણામ સ્વરુપે લોન સસ્તી થશે તેવી અપેક્ષા કરી રહેલા ચાહકોને મોટો ફટકો પડી શકે છે.

Related posts

સેન્સેક્સમાં ૩૫૨ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

વોડાફોન અને આઈડિયાના મર્જરને આવતીકાલે મંજુરી મળશે

aapnugujarat

एयर इंडिया इकॉनमी क्लास के यात्रियों को नहीं मिलेगा नॉनवेज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1