નિકાહ હલાલા અને બહુવિવાહ ગેરબંધારણીય છે કે કેમ તેને લઇને સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે સહમત થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરબંધારણીયરીતે જાહેર કર્યાના સાત મહિના બાદ સુપ્રીમ કોર્ટ મુસ્લિમ સમુદાયની અંદર નિકાહ હલાલા અને બહુવિવાહ ગેરબંધારણીય છે કે કેમ તેમાં સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ આજે નિકાહ હલાલા અને બહુવિવાહની બંધારણીય કાયદેસરતામાં ચકાસણી કરવામાં સહમત થઇ ગઇ હતી. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ઇન્સ્ટન્ટ ત્રિપલ તલાકના મામલામાં ચકાસણી કરી ચુકેલી પાંચ જજની બેંચે નિકાહ હલાલા અને બહુવિવાહના મુદ્દા ઉપર વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને લો કમિશનને નોટિસ ફટકારીને શ્રેણીબદ્ધ અરજીઓ અંગે તેનું વલણ સ્પષ્ટ કરવા સૂચના આપી હતી. અરજીઓમાં આ બંને પ્રથાને નાબૂદ કરવાની રજૂઆત કરવામાં આવી છે. બહુવિવાહ એક મહિલા કરતા વધુ મહિલા સાથે લગ્ન કરવા સાથે સંબંધિત પ્રથા છે જ્યારે નિકાહ હલાલા છુટાછેડાને રોકવાના ઇરાદાથી હાથ ધરવામાં આવેલી પ્રથા છે. આ હેઠળ એક પુરુષ અન્ય કોઇ મહિલા સાથે લગ્ન કરવાની પ્રક્રિયા મારફતે પસાર કરતા પહેલા કેટલાક કાયદામાંથી પસાર થાય છે. હૈદરાબાદ સ્થિત વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, મુસ્લિમ કાયદામાં એક પુરુષને અનેક પત્નિઓ રાખવાની મંજુરી મળેલી છે. બીજી બાજુ આમા કેટલીક દલીલો શરતી આધાર પર પણ થયેલી છે. અત્રે નોંધનીય છે કે, ગયા ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યો હતો. ચીફ જસ્ટિસ જેએસ ખેહર અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરે મુસ્લિમ ધર્મના અધિકારના ભાગરુપે ત્રિપલ તલાકને ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, તે ગેરબંધારણીય નથી પરંતુ જસ્ટિસ કુરિયન જોસેફ, આરએફ નરીમન અને યુયુ લલિતે બહુમતિથી કહ્યું હતું કે, ત્રિપલ તલાક મુસ્લિમ મહિલાના મૂળભૂત અધિકારના ભંગ સમાન છે. હવે નિકાહ હલાલા અને બહુવિવાહ ગેરબંધારણી છે કે કેમ તેમાં સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમ પર્સનલ લો (શરિયત) એપ્લિકેશન એક્ટ ૧૯૩૭ની કલમ-૨ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. કારણ કે આમા બહુવિવાહ અને નિકાહ હલાલને મંજુરી આપવામાં આવી છે. ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ નિકાહ હલાલ અને બહુવિવાદના બંધારણીય પાસા ઉપર સુપ્રીમ કોર્ટ ધ્યાન આપશે. ગયા વર્ષે ૨૨મી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે દિલ્હીની બે મુસ્લિમ મહિલાઓ તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર ઉપાધ્યાય તરફથી ભારત સરકારના કાયદામંત્રાલય અને લો કમિશનને પાર્ટી બનાવવામાં આવી છે. અરજી કરનારે દલીલ કરી છે કે, પર્સનલ લો પર કોમન લોની પ્રાથમિકતા છે અને કોમન લો ઉપર બંધારણીય કાયદાની પ્રાથમિકતા છે. ત્રિપલ તલાક ધાર્મિક ગતિવિધિના હિસ્સા તરીકે નથી. પાટનગર દિલ્હીમાં જશોદા વિહારમાં રહેનાર સમીના બેગમ નામની મહિલાએ અરજી દાખલ કરીને નિકાહ હલાલ અને બહુવિવાહને પડકાર ફેંક્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, આ પ્રથા ગેરકાયદે જાહેર કરવામાં આવે તે જરૂરી છે. તે પોતે આનો શિકાર થઇ ચુકી છે. તેને પત્ર મારફતે તલાક આપી દેવામાં આવ્યો હતો. બીજા લગ્ન કર્યા બાદ બીજા પતિએ પણ તલાક આપી દીધા હતા. તેનું કહેવું છે કે, નિકાહ હલાલા અને બહુવિવાહ ગેરબંધારણીય છે. ત્રિપલ તલાક ગેરબંધારણીય જાહેર હોવા છતાં હજુ પણ આ જારી છે. ત્રિપલ તલાક આપનારની સામે દહેજનો કેસ થવો જોઇએ. તર્કદાર દલીલો કોર્ટમાં કરવામાં આવી છે.