Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઘાસચારા કાંડ : ચોથા કેસમાં લાલુને ૧૪ વર્ષની સજા

મગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જનાર ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં પણ આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને આજે સીબીઆઇની ખાસ અદાલતે સાત-સાત વર્ષની સજા ફટકારી હતી. સાથે સાથે ૬૦ લાખ રૂપિયાનો જંગી દંડ પણ ફટકારતા કોર્ટ રૂમમાં સોપો પડી ગયો હતો.ડુમકા તિજોરીમાંથી ગેરકાયદે જંગી નાણાંની ઉચાપત સાથે સંબંધિત આ મામલો રહેલો છે. લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું કે, લાલુને બે જુદી જુદી કલમોમાં સાત-સાત વર્ષની સજા કરવામાં આવી છે. અલબત કુલ ૧૪ વર્ષની સજાને લઈને આજે ચર્ચા રહી હતી. કોર્ટમાં ઉપસ્થિત વકીલ વિષ્ણુ કુમાર શર્માએ કહ્યું હતું કે, આ મામલામાં બે જુદી જુદી કલમોમાં લાલુને સજા કરવામાં આવી છે. આ પ્રકારથી સાત સાત વર્ષની સજા કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, એક સજા પુરી થયા બાદ બીજી સજા શરૂ થશે. અત્રે નોંધનીય છે કે સીબીઆઇની ખાસ અદાલતે ગયા સોમવારના દિવસે ઝારખંડની રાંચી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ યાદવને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા. ડુમકા તિજોરીમાંથી ગેરકાયદેરીતે નાણાની ઉચાપતના કેસમાં રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ રીતે ઘાસચારા કૌભાંડના છ પૈકી ચાર કેસોમાં લાલૂ યાદવને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ હવે સજા આપવામાં આવી ચુકી છે ડુમકા તિજોરીમાંથી ગેરકાયદે નાણાંકીય ઉચાપતના મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમની સાથે મહેન્દ્રસિંહ બેદી, અધિકચંદ્ર, ધ્રુવ ભગત અને અનંતકુમારને પણ નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ મામલામાં ગયા શનિવારના દિવસે ચુકાદો આવનાર હતો પરંતુ ટાળી દેવામાં આવ્યો હતો. આ અગાઉ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં લાલૂને દેવઘર મામલામાં સજા ફટકારવામાં આવી હતી. ઘાસચારા કૌભાંડના ત્રણ કેસો પૈકી ત્રીજા કેસમાં લાલૂ અને જગન્નાથ મિશ્રાને ચાઇબાસા તિજોરીમાંથી ઉચાપત બદલ ૫-૫ વર્ષની સજા ફટકારી હતી. ઘાસચારા કોંભાડનો ચોથો કેસ ડુમકા તિજોરીમાંથી ૩.૧૩ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત છે. એ વખતે લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. આ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા અને અન્ય ૨૯ લોકો પણ આરોપી હતા. ૬૯ વષીય લાલુ યાદવ હાલમાં ગયા વર્ષે સજા કરવામાં આવ્યા બાદથી ડિસેમ્બર મહિનાથી બિરસા મુન્ડા જેલમાં છે. રાંચીમાં ડોરાન્ડા તિજોરીમાંથી ૧૩૯ કરોડ રૂપિયાની ઉંચાપત સાથે સંબંધિત મામલો હજુ પેન્ડિંગ છે. લાલુને ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં પહેલાથી જ સજા આપવામાં આવી ચુકી છે. જ્યારે મિશ્રાને ઝારખંડમાં જુદી જુદી કોર્ટ દ્વારા બે ઘાસચારા કૌભાંડ કેસમાં અપરાધી જાહેર કરાયા છે.અત્રે નોધનીય છે કે, ૨૪મી જાન્યુઆરીના દિવસે સનસનાટીપૂર્ણ ઘાસચારા કોંભાડના ચાઇબાસા તિજોરીમાંથી ઉચાપતના કેસમાં લાલુને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલૂને સજા કરવામાં આવી હતી. સ્પેશિયલ સીબીઆઈ જજ એસએસ પ્રસાદે અગાઉ લાલૂ અને અન્ય ૫૦ અપરાધીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. વર્ષ ૧૯૯૨-૧૯૯૩માં ચાઈબાસા તિજોરીમાં ૩૩.૬૭ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંંબંધિત આ કેસ હતો. લાલૂની સાથે પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને પણ જેલની સજા કરવામાં આવી હતી. તેમને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. લાલૂ અને મિશ્રા બંનેને રાંચીની કોર્ટે પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એવો આક્ષેપ હતો કે, બનાવટી ફાળવણી પત્રોનો ઉપયોગ કરીને ૩૩.૬૭ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. ૭.૧૦ લાખ રૂપિયાની મંજુર કરવામાં આવેલી રકમના બદલે આ રકમ ઉપાડવામાં આવી હતી. ત્રીજા કેસમાં બે સરકારી કર્મચારીઓ અને ચારામાં ચાર સપ્લાયર્સને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. ચાઇબાસા ઉચાપતના કેસમાં કોર્ટે ૫૬ આરોપીઓ પૈકી ૫૦ને દોષિત જાહેર કર્યા હતા. ઘાસચારા કૌભાંડના મામલાઓ પૈકીના એક એવા દેવઘર તિજોરીમાંથી ઉચાપત સંબંધિત મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે આરજેડી વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને છઠ્ઠી જાન્યુઆરીના દિવસે સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. એ વખતે કોર્ટે લાલૂ ઉપર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો.લાલૂને જામીન પણ આપવામાં આવ્યા ન હતા. દેવઘર તિજોરીમાં ગેરકાયદેરીતે ૮૯.૨૭ લાખ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત મામલામાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. ચુકાદો ત્રીજી જાન્યુઆરીના દિવસે આવવાનો હતો પરંતુ તારીખ એક એક દિવસ ટળી રહી હતી પરંતુ આખરે સજા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલૂ પ્રસાદ યાદવ પરિવારને ૨૩મી ડિસેમ્બરના દિવસે મોટો ફટકો પડ્યો હતો. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડમાં વધુ એક મામલામાં રાંચીની સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. અલબત્ત કોર્ટે ૨૨ આરોપીઓમાંથી પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા સહિત છ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. ૧૯૯૬માં થયેલા આ કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં ૨૦૧૩માં નિચલી અદાલતે લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. આ કૌભાંડમાં એવા લોકો ઉપર અલગ અલગ છ કેસો ચાલી રહ્યા છે. ૨૩મી ડિસેમ્બરે ખાસ અદાલતે દેવઘરની સરકારી તિજોરીમાંથી ૮૪.૫૩ લાખ રૂપિયાની ગેરકાયદેરીતે ઉચાપતના મામલામાં લાલૂ યાદવને દોષિત જાહેર કર્યા હતા. જાન્યુઆરી ૧૯૯૬માં આશરે ૯૫૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તે વખતે તત્કાલીન અધિકારી અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસ પર દરોડા પાડ્યા હતા.લાલુ યાદવની સામે હાલમાં એક પછી એક સમસ્યા આવી રહી છે.

Related posts

केजरीवाल का दावा : खत्म होने की कगार पर है दिल्ली में अब कोरोना की तीसरी लहर

editor

આરબીઆઇ ગુરુવારે બજારમાં રૂપિયા ૮,૦૦૦ કરોડ ઠાલવશે

aapnugujarat

સુંજવાન એટેક : શહીદ સાત પૈકી પાંચ કાશ્મીરી મુસ્લિમો : અસાસુદ્દીન ઓવૈસી દ્વારા ફરીવાર વિવાદાસ્પદ નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1