મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકારને દિલ્હી હાઇકોર્ટે મોટી રાહત આપી હતી. લાભના મામલે અયોગ્ય જાહેર કરવાના ચુકાદાને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધો હતો અને તેમના હોદ્દા પર ફરી ગોઠવી દીધા હતા. આનો મતલબ એ થયો કે એએપીના ૨૦ ધારાસભ્યો હવે ધારાસભ્યો તરીકે યથાવત રહેશે. ચૂંટણી પંચ ફરીથી સુનાવણી હાથ ધરશે. દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ધારાસભ્યોની અરજી ઉપર ફરીથી સુનાવણી કરવામાં આવે. એએપીના ૨૦ ધારાસભ્યોને અગાઉ ગેરલાયક જાહેર કરવામાં આવ્યા બાદ એએપીમાં સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા. ચૂંટણી પંચની ભલામણોને આજે ફગાવી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોની મેમ્બરશીપને રદ કરવાના મામલામાં દિલ્હી હાઈકોર્ટની બે જજની બેંચે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટમાં ૧૫થી વધારે પૂર્વ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. એએપીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, ધારાસભ્યોને અગાઉ બોલવાની તક આપવામાં આવી ન હતી. કોર્ટે તેમને તક આપી હતી. ચૂંટણી પંચ હવે ફરીથી સુનાવણી કરશે. જાન્યુઆરી મહિનામાં એએપીના ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની સામે દિલ્હી હાઈકોર્ટમાં એએપીના સભ્યો તરફથી અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. હાઇકોર્ટે ચૂંટણી પંચને પણ આ મામલામાં ચુકાદો ન આવે ત્યાં સુધી પેટાચૂંટણી ન કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. એએપીના ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાના મામલે અરજી કરનાર પ્રશાંત પટેલે કહ્યું છે કે, આ કેસ ફરીથી ખુલશે. તેમણે કહ્યું છે કે, એક બંધારણીય મુદ્દો તેમણે ઉઠાવ્યો છે. તેમના માટે આ કોઇ ફટકો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં એએપી સરકારને ૧૯મી જાન્યુઆરીના દિવસે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, ચૂંટણી પંચે લાભના હોદ્દાના મામલામાં એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દીધા હતા. ચૂંટણી પંચે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દીધો હતો અને આને મંજુરી પણ મળી ગઈ હતી. દિલ્હી સરકારે માર્ચ ૨૦૧૫માં આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવી દીધા હતા. આને લઇને મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ અને કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આની સામે પ્રશાંત પટેલ નામની વ્યક્તિએ રાષ્ટ્રપતિ પાસે અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે, આ ૨૧ ધારાસભ્યો લાભના હોદ્દા ઉપર છે જેથી તેમને ગેરલાયક જાહેર કરવા જોઇએ. દિલ્હી સરકારે ત્યારબાદ દિલ્હી વિધાનસભામાં બિલમાં સુધારો કર્યો હતો. આ બિલનો હેતુ સંસદીય સચિવના હોદ્દાને લાભના હોદ્દાથી મુક્તિ અપાવવાનો હતો પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ બિલને ફગાવી દીધો હતો. ત્યારબાદથી આ તમામ ૨૧ ધારાસભ્યોની મેમ્બરશીપને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા હતા. અનેક દોરની બેઠકો ચાલી હતી. હવે ચૂંટણી પંચે આ મામલાને વધુ નહીં ખેંચવાનો નિર્ણય કર્યો હતો. પહેલા ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને લાભના હોદ્દાના મામલામાં કારણદર્શક નોટિસ જારી કરી હતી. આ મામલામાં પહેલા ૨૧ ધારાસભ્યોની સંખ્યા હતી પરંતુ જર્નેલસિંહ પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા હતા.
પાછલી પોસ્ટ