સબસલામતની ગુલબાંગો વચ્ચે રાજ્ય રક્તરંજીત થયું છે. ગુજરાત વિધાનસભામાં સરકારે કબૂલાત કરી છે કે રાજ્યમાં દરરોજ અંદાજે ૩ હત્યાના બનાવ બને છે તો ૩ હત્યાના પ્રયાસ અને ૧૮ આત્મહત્યાનો બનાવો બને છે. રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૨ હજાર ૨૧૧ ખૂનના બનાવ બન્યા છે.. તો ૨ હજાર ૨૧૫ ખૂનની કોશિષના ગુના નોંધાયા છે જ્યારે કે ૧૨ હજાર ૭૫૮ લોકોએ આત્મહત્યા કરી છે. હત્યામાં ડાયમંડ સિટી સુરત મોખરે છે. સુરતમાં ૨૬૭ ખૂન અને ૨૧૮ જીવલેણ હુમલા થયા હતા. તો અમદાવાદમાં ૨૪૧ ખૂન અને ૨૯૫ જીવલેણ હુમલા થયા હોવાની સરકારે કબૂલાત કરી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉત્તમ હોવાની બાબતને સરકાર દ્વારા જાહેર કરાયેલા આંક પોલ ખોલી રહ્યા છે. ગુજરાત પોલીસતંત્ર તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપની નીતિ અપનાવી રહ્યું છે. મલાઇ શામાંથી મળશે એ જ કેસમાં પોલીસ હાથ નાખે છે. લાખો લોકો પોલીસ પ્રત્યે એક આશા રાખીને બેઠા હોય છે આમ છતાં પોલીસતંત્ર ચૂપચાપ તમાશો નીહાળે છે.
ઉચ્ચ અધિકારીઓથી લઇને કોન્સ્ટેબલ સુધી ફરિયાદી કોણ અને આરોપી કોણ છે તે જોઇને તપાસની ગતિ અને દીશા આગળ વધારે છે. કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ અને બિહારના ઉદાહરણ અપાય છે પણ ગુજરાતની સ્થિતિ પણ કાયદો વ્યવસ્થા બાબતે ઉત્તમ નથી આ આંક સાબિત કરી રહ્યાં છે.
આગળની પોસ્ટ