Aapnu Gujarat
બ્લોગ

વર્ષ ૨૦૧૯ની ચુંટણીમાં શું થશે….

૧૯૭૧માં વિરોધ પક્ષોએ મહાજોડાણ (ગ્રાન્ડ એલાયન્સ) કર્યું હતું અને એ છતાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને લોકસભામાં સાદી બહુમતિ નહીં, બે-તૃતિયાંશ બહુમતિ મળી હતી. ૧૯૬૬થી ૧૯૭૧નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધી આશાનું કિરણ હતાં. કોંગ્રેસના કદાવર નેતાઓને ભૂ પાનારાં લોખંડી મહિલા હતાં અને ગરીબોનાં અમ્મા હતાં. તેમણે અનેક ગરીબ તરફી નિર્ણયો લીધા હતા એટલે વિરોધ પક્ષોએ સાવર્ત્રિક અને રાષ્ટ્રીય મોરચો રચ્યો હોવા છતાં તેઓ ઇન્દિરા ગાંધીને પરાજિત નહોતા કરી શક્યા. યાદ રહે, ત્યારે હજી બાંગ્લાદેશનું યુદ્ધ નહોતું થયું જેણે ઇન્દિરા ગાંધીને દુર્ગા તરીકે સ્થાપ્યાં હતાં.
૧૯૭૧ની લોકસભાની ચૂંટણી પછીની મુદતમાં ઇન્દિરા ગાંધીનો શાસક તરીકેનો ચહેરો અલગ હતો. સવર્ત્ર એકાધિકારશાહી, તુમાખી અને ચાપલૂસી નજરે પડતાં હતાં. કોઈ લોકતાંત્રિક સંસ્થાની આમન્યા જાળવવામાં નહોતી આવતી અને ઇન્દિરા ગાંધીનો વિરોધ કરનારાઓને ગરીબ વિરોધી તરીકેનું લેબલ ચોડીને બદનામ કરવામાં આવતા હતા જેમ આજે વિરોધીઓને દેશદ્રોહી તરીકે ઓળખાવવામાં આવે છે. કોંગ્રેસ અને કોંગ્રેસીઓ ઇન્દિરા ગાંધીના ગુલામ બની ગયાં હતાં.
કોંગ્રેસે રાજકીય પક્ષ તરીકેની ગરિમા ગુમાવી દીધી હતી. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ દેશ પર ઈમર્જન્સી લાદી હતી. સર્વત્ર ભયનું વાતાવરણ હતું અને મીડિયા ગુલામ હતું.૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ જ્યારે સામાન્ય ચૂંટણી જાહેર કરી ત્યારે વિરોધ પક્ષોએ ભેગા મળીને જનતા પાર્ટી નામનો પક્ષ રચ્યો હતો જે વાસ્તવમાં મોરચો હતો અને એટલે તો બે વરસમાં સરકાર તૂટી પડી હતી. ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોની એકતા ૧૯૭૧ની સરખામણીમાં ઓછી અને સ્થાનિક હોવા છતાં જનતા પાર્ટીને બે-તૃતિયાંશ બહુમતિ મળી હતી. ઇન્દિરા ગાંધી ખુદ અને તેમના પુત્ર ચૂંટણી હારી ગયાં હતાં.૧૯૭૧માં મહાજોડાણ સામે ઉગરી જનારાં, માત્ર ઉગરી જનારા નહીં, વિરોધ પક્ષોને ધૂળ ચાટતા કરી દેનારાં ઇન્દિરા ગાંધી ૧૯૭૭માં ૧૯૭૧ની તુલનામાં પ્રમાણમાં નાના અને ઉત્તર ભારત પૂરતા સ્થાનિક જોડાણ સામે કેમ હારી ગયાં એનો ઉત્તર નરેન્દ્ર મોદીએ અને બીજેપીના નેતાઓએ શોધવો જોઈએ.
નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ઇન્દિરા ગાંધીનાં ૧૯૬૬-૧૯૭૧નાં વર્ષો તો જોવા જ નથી મળ્યાં. તેમણે સીધી શરૂઆત જ ઇન્દિરા ગાંધીની બીજી મુદતના શાસનકાળનાં લક્ષણો સાથે કરી હતી. ઇન્દિરા ગાંધી અમર છે તો એ ૧૯૬૬થી ૧૯૭૧ના વર્ષોના શાસન માટે અને કુખ્યાત છે એ પછીના શાસન માટે.
શરૂઆત ગુજરાતથી થઈ હતી જેમાં વિજય સુધી પહોંચતાં હાંફી જવાયું હતું. વડાપ્રધાનના વતનના મતદારક્ષેત્ર વડનગરમાં બીજેપીનો પરાજય થયો હતો. એ પછી રાજસ્થાનમાં બે લોકસભાની અને એક વિધાનસભાની બેઠક પર કારમો પરાજય થયો હતો. રાજસ્થાન પછી ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો હતો. એ પછી મધ્ય પ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો હતો. આની વચ્ચે ત્રિપુરામાં થયેલા વિજયને બીજેપીએ દિગ્વિજય સમજીને એટલી તુમાખી બતાવી હતી કે રશિયન ક્રાંતિકારી લેનિનના પૂતળાને તોડીને બીજેપીના કાર્યકરો ફુટબૉલની જેમ ઉછાળતા હતા. ચેન્‌શ્વનઈમાં પેરિયાર રામસ્વામી નાયકર અને ડૉ. આંબેડકરનાં પૂતળાં તોડ્યાં હતાં અને કેરળમાં ગાંધીજીના પૂતળા પરથી ચશ્માં કાઢીને તોડી નાખ્યાં હતાં. વડાપ્રધાને ત્યારે મોઢું ખોલ્યું હતું જ્યારે સામ્યવાદી પક્ષના કાર્યકરોએ કલકત્તામાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીની તસવીર તોડી નાખી હતી.
શાસનના નામે લગભગ શૂન્ય અને ચરબીનો પાર નહીં. કેન્દ્રની એનડીએ સરકારના કામકાજને જો એક વાક્યમાં ઓળખાવવું હોય તો આમ કહી શકાય. આની વચ્ચે ઉત્તર પ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણી આવી પડી, જે બેઠકો પર ચૂંટણી યોજાઈ એ પ્રતિષ્ઠાની બેઠકો હતી અને એમાંય ગોરખપુરની બેઠક તો વધારે પ્રતિષ્ઠાની હતી. ગોરખપુર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ગઢ છે. ગોરખપુરમાં નાથ સંપ્રદાયની ગાદી છે.
૧૯૪૮માં અયોધ્યામાં બાબરી મસ્જિદમાં રામલલાની તસવીર ઘુસાડવામાં આવી એમાં ગોરખપુરની ગાદીનો હાથ હતો. યોગી આદિત્યનાથના દાદા અને ગુરુ ક્યારેક અપક્ષ ઉમેદવાર તરીકે અને ક્યારેક હિન્દુ મહાસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા અને જીતતા હતા. ૧૯૮૯માં ગોરખપુરની લોકસભાની બેઠક પરથી મુખ્ય પ્રધાનના ગુરુ યોગી અવેદ્યનાથ ચૂંટાયા હતા અને ૧૯૯૧થી યોગી આદિત્યનાથ ચૂંટાતા આવ્યા છે. ૧૯૯૯ની લોકસભાની ચૂંટણીનો અપવાદ છોડીને દરેક વખતે એક લાખ કરતાં વધુ મતે યોગી આદિત્યનાથ જીતતા આવ્યા છે.
૧૯૯૯માં માત્ર સાત હજાર મતની સરસાઈ તેમને મળી હતી. યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા એ પછી ગોરખપુરની લોકસભાની બેઠક ખાલી કરી હતી.ફૂલપુરની સ્ટોરી ગોરખપુર કરતાં અલગ છે. જવાહરલાલ નેહરુ, વિજયાલક્ષ્મી પંડિત અને વી. પી. સિંહ જ્યાંથી ચૂંટાતા હતાં એ ફૂલપુર ૨૦૧૪ના મોદીજુવાળમાં બીજેપીએ પહેલી વાર આંચકી લીધી હતી. ગયા વરસે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફૂલપુર લોકસભા ક્ષેત્રમાં પડતી વિધાનસભાઓની તમામ બેઠકો પર બીજેપીનો વિજય થયો હતો. આ બેઠક પરથી ચૂંટાયેલા કેશવપ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બનાવતાં ખાલી પડી હતી. આમ ગોરખપુર અને ફૂલપુર એમ બન્ને બેઠકો અનુક્રમે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને ખાલી કરેલી હતી એટલે ચૂંટણીજંગ પ્રતિષ્ઠાનો હતો. આર્ય એ વાતનું છે કે જ્યારે પેટાચૂંટણી જાહેર થઈ ત્યારે બીજેપીએ કે બીજા કોઈએ કલ્પના નહોતી કરી કે માયાવતી કોઈ પણ પ્રકારની શરત વિના સમાજવાદી પક્ષને ટેકો આપશે. માયાવતીએ જ્યારે વિના શરત ટેકો જાહેર કર્યો ત્યારે બીજેપીના નેતાઓએ માની લીધું હતું કે દલિતોના મત સમાજવાદી પક્ષની તરફેણમાં ટ્રાન્સફર નહીં થાય. પરંપરાગત રીતે ખેતમઝદૂર દલિતો અને ખેતરમાલિક યાદવો તેમ જ અન્ય બહુજન સમાજની કોમો વચ્ચે દુશ્મનીનો લાંબો સંબંધ છે. જ્યારે બહુજન સમાજ પક્ષના કાર્યકર્તાઓ દલિતોના ઘરે જઈને દલિત મતદાતાઓને સમજાવવા લાગ્યા ત્યારે યોગી આદિત્યનાથને સમજાઈ ગયું હતું કે પોતાના જ ગઢમાં ગાબડું પડી શકે એમ છે. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે માત્ર એક સભા ગોરખપુરમાં યોજી હતી. માયાવતીએ તો ગોરખપુરમાં પગ સુધ્ધાં નહોતો મૂક્યો જ્યારે યોગીએ ૧૧ સભાઓ કરી હતી.
૨૦૧૪માં ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી વખતે ૮૦માંથી ૭૧ બેઠકો જીતનારો પક્ષ અને ગયા વરસે નોટબંધીના માર છતાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ૪૦૪માંથી ૩૧૨ બેઠકો જીતનારો પક્ષ અત્યારે અચાનક બૅકફુટ પર આવી ગયો છે. એ વિજય જોઈને તો નીતીશકુમાર ગભરાઈને ગોદમાં ભરાઈ ગયા હતા. તેમને એમ લાગતું હતું કે ૨૦૧૯માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીને હરાવવી અશક્ય છે એટલે તેમની સામે રહેવા કરતા સાથે થઈ જવું જોઈએ. અત્યારે નીતીશકુમાર મૂરખ બની ગયા હોવાની લાગણી અનુભવતા હશે. બિહારનાં પરિણામો પણ આ વાતની સાહેદી આપે છે. બિહારમાં અરરિયાની લોકસભાની અને જેહાનાબાદની વિધાનસભાની બેઠક લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દલે જાળવી રાખી છે. નીતીશકુમાર અલગ થઈને બીજેપી સાથે મળી ગયા હોવા છતાં અને લાલુ પ્રસાદ યાદવ જેલમાં હોવા છતાં બન્ને બેઠકો પર આરજેડીના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. ભભુઆ વિધાનસભા બેઠક પર બીજેપીના ઉમેદવારનો વિજય થયો છે.
હવે આ સ્થિતિમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં શું થશે? બીજેપી પાછી વિજયી થશે? બહુમતી ગુમાવીને પણ લોકસભામાં સૌથી મોટા પક્ષ તરીકે બીજેપી સરકાર બનાવી શકશે? જો બીજેપી સરકાર બનાવશે તો એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે? હવે પછી એનડીએના ભાગીદાર પક્ષો કેવું વલણ અપનાવશે? શું કોંગ્રેસ બેઠી થશે કે પછી ૨૦૧૯માં ત્રીજા મોરચાની સરકાર રચાશે? શું લોકસભાની સામાન્ય ચૂંટણી વહેલી યોજવાનો દાવ ખેલવામાં આવશે? આવા પ્રશ્નો અત્યારે ઉત્તર પ્રદેશનાં પરિણામો આવતાંની સાથે જ પુછાવા લાગ્યા છે. જવાબ માટે હજી થોડી રાહ જોવી પડશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પછી આમાંના કેટલાક પ્રશ્નોના જવાબ મળી જશે.

Related posts

सीधी बस हादसा, इन लाशों का जिम्मेदार कौन?

editor

नेपाल में ओली की मुसीबत

editor

પંચમહાલના વીર શહીદ ભલાભાઈની વીર ગાથા

editor

Leave a Comment

UA-96247877-1