પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ભંગનો સિલસિલો યથાવતરીતે જારી રહ્યો છે. આજે કાશ્મીરના પૂંચવિસ્તારમાં બાલાકોટ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા હતા આને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. નાગરિક વિસ્તારને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી કરાયેલા ગોળીબારમાં મૃત્યુ પામેલા પાંચ લોકો પૈકી ચાર લોકો એક જ પરિવારના હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરક્ષા દળોએ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબાર બાદ આમાં માર્યા ગયેલા લોકોના સંદર્ભમાં માહિતી આપી હતી. ઘાયલ થયેલા અન્ય બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં પાકિસ્તાન તરફથી ૪૩૨ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતથી જ પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ભંગની અનેક ઘટનાઓ બની ચુકી છે. ગૃહમંત્રાલયે પોતાના લેખિત જવાબમાં આ અંગેની માહિતી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અનેક વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ત્રાસવાદીઓને ઘુસાડવાની ગતિવિધિ પાકિસ્તાને જારી રાખી છે. ઇજાગ્રસ્તોને પુરતી સારવાર આપવામાં આવી રહી છે. ગઇકાલે જમ્મુ કાશ્મીરના હાજીપોરામાં એસએસપી સોપિયાની ગાડી ઉપર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. ૧૫મી માર્ચના દિવસે પણ આતંકવાદીઓએ ભાજપના નેતા અનવર ખાનના કાફલા ઉપર હુમલો કર્યો હતો જેમાં ખાનનો સહેજમાં બચાવ થયો હતો.