શહેરના આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસેના પોશ એરિયામાં જાહેરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા એક આંગડિયા પેઢીના કર્મચારીઓ દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસના હાથે કોઇ નક્કર પુરાવા કે કડી મળી આવી નથી. બનાવના ત્રણ દિવસ બાદ પણ પોલીસના હાથ હજુ ખાલી છે. બીજીબાજુ, ચકચારભરી આ લૂંટ વીથ મર્ડરની ઘટનામાં જે કારમાં આંગડિયા પેઢીના કર્મચારી ગુજરાત વિદ્યાપીઠ આવ્યા હતા તે બોલેરો કારના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, તેથી તેના આધારે પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ગઇકાલે આ સમગ્ર ગુનામાં આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલુ એક બાઇક મેઘાણીનગર વિસ્તારમાંથી કબ્જે કર્યું હતું, જે બાઇક બનાવના એક દિવસ પહેલાં જ ચાંદખેડા વિસ્તારમાંથી ચોરી થયું હતું. પોલીસે સીસીટીવી ફુટેજ અને અન્ય મુદ્દાઓના આધારે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી પોલીસેને એવી કોઇ નક્કર કડી કે પુરાવા હાથ લાગ્યા નથી કે, જેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકે. દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠ જેવા શાંત અને પોશ એરિયામાં જાહેરમાં ધોળાદહાડે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી આંગડિયા પેઢીના કર્મચારીની સનસનાટીભરી હત્યાને લઇ ખુદ ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ નિવેદન કરવુ પડયું હતું કે, ટૂંક સમયમાં જ પોલીસે હત્યારાઓને પકડી પાડશે અને તેઓની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ શહેરની રતનપોળમાં આવેલી પટેલ અંબાલાલ હરગોવિંદદાસ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારી અરવિંદભાઇ પટેલ(ઉ.વ.૫૦) વહેલી સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ આંગડિયાનો થેલો લઇ મહેસાણા-પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યારે આશ્રમરોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે મહેસાણા-પાલનપુર જવાના એસટી બસ સ્ટેન્ડ નજીક ઉભા હતા. અરવિંદભાઇ એસટી બસની રાહ જોઇને ઉભા હતા ત્યારે અચાનક જ બે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પહેલા હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરી અરવિંદભાઇ પાસેથી થેલો ઝુંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અરવિંદભાઇએ હાથમાં થેલો છોડયો ન હતો, તેથી ઉશ્કેરાયેલા લૂંટારુ શખ્સોએ તેમની પાસેના રિવોલ્વર જેવા હથિયારમાંથી તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેજન્થી ફાયરીંગ કર્યું હતું. એક પછી એક એમ ત્રણ ગોળીઓ ધરબાઇ જતાં અરવિંદભાઇ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડયા હતા અને લુંટારાઓ રૂ.૫.૧૦ની રોકડ ભરેલો થેલો ઝુંટવી નાસી છૂટયા હતા.