પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબામાં આંતરિક કલહની શરુઆત થઈ ગઈ છે. આ આંતરિક કહલનું પરિણામ એ આવ્યું છે કે, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહ-સંસ્થાપક સદસ્ય મૌલાના આમિર હમઝાએ નવા આતંકી સંગઠનની સ્થાપના કરી છે. મળતી માહિતી મુજબ આર્થિક મદદના અભાવે આતંકીઓ વચ્ચે આંતરિક લડાઈ થઈ રહી છે.મૌલાના આમિર હમઝા અત્યાર સુધી આતંકી હાફિઝ સઈદના કહેવા મુજબ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા ચલાવતો હતો.
હાફિઝના આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ મૌલાના આમિર હમઝાને આપવામાં આવતા ફન્ડિંગ પર રોક લગાવવામાં આવી, જેના લીધે આમિર હમઝા હાફિઝ સઈદથી નારાજ હતો.લશ્કર-એ-તૈયબાથી અલગ થઈને મૌલાના આમિર હમઝાએ નવા આતંકી સંગઠનની સ્થાપના કરી છે. જેનું નામ જૈશ-એ-મનક્ફા રાખવામાં આવ્યું છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની જેમ પોતાના નવા આતંકી સંગઠન માટે પણ આમિર હમઝા ફન્ડ ભેગું કરી રહ્યો છે. અને જેના દ્વારા કશ્મીરમાં આતંક ફેલાવવાની તેની યોજના બનાવી રહ્યો છે.મૌલાના આમિર હમઝા ૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલામાં આરોપી તરીકે મોસ્ટ વોન્ટેડ છે. વર્ષ ૨૦૧૨માં આમિર હમઝાને અમેરિકાએ વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. આમિર હમઝા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલાનો રહેવાસી છે.