પાસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ઈન્ડિયા ટુડે કોન્કલેવમાં પાસના નેતા હાર્દિક પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે કોન્કલેવમાં જણાવ્યું હતું કે, ”ગુજરાત ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની સાથે મુલાકાત ન કરી તે મોટી ભૂલ હતી. જો મેં રાહુલગાંધીની મુલાકાત કરી હોત તો ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી શક્યું ન હોત.” હાર્દિક પટેલે એવું પણ જણાવ્યું હતું કે, જો હું મમતા બેનરજી, નીતિશકુમાર અને ઉદ્ધવ ઠાકરેને ખુલ્લેઆમ મળી શકું તો રાહુલ ગાંધીને મળવામાં મને કોઈ વાંધો હોવો જોઈતો ન હતો. જો હું તે સમયે રાહુલગાંધીને મળ્યો હોત તો ભાજપ ૯૯ નહીં ૭૯ સીટો પર જ સમેટાઈ ગઈ હોત. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયા ટુડે કોન્કલેવના ૨૦૧૮ના સત્ર ‘ધ યંગ ટર્ક્સ ધ ફ્યૂચર ઓઉ આઇડેન્ટિટી પોલિટિક્સ’માં હાર્દિક પટેલ, કન્હૈયા કુમાર, શેહલા રશીદ, રોહિત ચહલે હાજરી આપી હતી. આ સત્રનું સંચાલન રાહુલ કંવલે કર્યું. આ સત્રમાં રાજનીતિની નવી પેઢીના યોગદાન પર ચર્ચા કરવામાં આવી હતી.