ત્રિપુરામાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિપ્લવકુમાર દેવે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથવિધિ કાર્યક્રમમાં મોદીએ ઉપસ્થિત રહીને સંબોધન પણ કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ઇતિહાસ ત્રિપુરાની આ ચૂંટણીને હમેશા યાદ રાખશે. અમારી નવી સરકારના નવા ચહેરાઓ ત્રિપુરાને નવી ઉંચાઇ ઉપર લઇને જશે. વડાપ્રધાને અહીં કોરબરોક ભાષામાં તમામનું અભિવાદન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, આજે ત્રિપુરામાં ફરી એકવાર દિવાળી આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જે લોકોએ વોટ આપ્યા નથી તે લોકોની પણ આ સરકાર છે. જે વિપક્ષમાં આવ્યા છે તેમને તેમની અપીલ છે કે, જે કંઇપણ અનુભવ રહેલા છે તે અનુભવ એકબીજા સાથે વહેંચીને આગળ વધવામાં આવે. સત્તા પક્ષ અને વિપક્ષ સાથે મળીને આગળ વધે તો ત્રિપુરાને નવી ઉંચાઈ પર લઇ જવામાં મદદ મળશે. વડાપ્રધાને મહારાજા વિક્રમસિંહને યાદ કર્યા હતા. વિકાસના વચનો ઉપર મોદીએ કહ્યું હતું કે, દરેક નાગરિક અમારા નાગરિકો છે. સત્તા પક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યો સાથે મળીને કામ કરશે. ત્રિપુરા ચૂંટણીના સંદર્ભમાં મોદીએ કહ્યું હતું કે, ત્રિપુરાની ચૂંટણી એવા કેટલાક રાજ્યોની ચૂંટણી તરીકે રહી છે જેની ચર્ચા ઇતિહાસમાં પણ થશે. ભારતની રાજનીતિમાં કેટલીક એવી ચૂંટણીઓ થઇ છે જેની ચર્ચા હંમેશા થતી રહે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદ જેટલા પીએમ થયા છે તે તમામ મળીને જેટલી વખત નોર્થઇસ્ટ આવ્યા હશે તેમના કરતા તેઓ એકલા ઉત્તરપૂર્વમાં વધારે પહોંચ્યા છે. ૨૫થી વધુ વખત પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચ્યા હોવાનો દાવો મોદીએ કર્યો હતો. અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પાછલી પોસ્ટ