અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધારાના આશયથી મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હાલ નોર્થ-સાઉથ અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર કામ ચાલી રહ્યું છે. જે પૈકી ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચથી સિવીલ કામગીરી પૂર્ણ થવાના આરે છે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. વિધાનસભા ગૃહમાં એક પ્રશ્નના ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પ્રવાસીઓને ઝડપી આવન-જાવન સુવિધા પુરી પાડવા માટે મેટ્રોલિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર-અમદાવાદ કંપની શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથ કોરિડોર પર કાર્ય ચાલી રહ્યું છે. વસ્ત્રાલથી થલતેજ સુધીના ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક વચ્ચેના પ્રાયોરિટી રીચની સિવીલ કામગીરી પૂર્ણ થવાના આરે છે. આ મેટ્રોના રૂટ પર આવતાં છ સ્ટેશનોના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. ટ્રેક અને સિગ્નલીંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે થલતેજથી શાહપુર વચ્ચેના વેસ્ટર્ન રીચમાં વાયાડકટની અને સ્ટેશનની સિવીલ કામગીરી ચાલુ છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, એપરલ પાર્ક ડેપોની કામગીરી પૂર્ણતાના આરે છે. મોટેરાથી એપીએમસી સુધીના નોર્થ-સાઉથ કોરિડોરમાં બધા જ સ્થળો પર સિવીલ કામગીરી પ્રગતિમાં છે. આ તમામ કામગીરી માટે કુલ ૩૦૫૮ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નિતીન પટેલે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેના આશરે ૬.૫ કિમી લંબાઈ ધરાવતાં પ્રાયોરિટી રીચને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં કાર્યાન્વિત કરી દેવાશે.