ગુજરાતમાં સરદાર સરોવર ડેમમાં શનિવારના રોજ પાણીનું લેવલ ૧૧૦.૫૧ મીટરથી ઘટીને ૧૦૮.૨૬ મીટર થઈ ગયું છે. ૨૦મી ફેબ્રુઆરીના રોજ ૧૧૦.૫૧ મીટર લેવલ નોંધવામાં આવ્યુ હતું.આ અત્યંત ચિંતાનજક સ્થિતિ છે, કારણકે આ સીઝનમાં સરદાર સરોવર ડેમમાં પાણીનું પ્રમાણ ૧૨૭ મીટર સુધી જ પહોંચ્યુ હતુ, જે તેની ફુલ કેપેસિટી કરતાં ઓછું છે. નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પહેલીવાર નાની નાની ટેકરીઓ અને ઝાડ જોવા મળ્યા હતા.નર્મદા અને ભરુચ જિલ્લાના લોકોનું કહેવું છે કે તેમણે પાછલા ૩૦ વર્ષમાં નર્મદા નદીમાં પાણીનું પ્રમાણ આટલું ઓછું ક્યારેય નથી જોયું. નદીમાં ઈન્દિરા સાગર ડેમ તરફથી આવતો પ્રવાહ અત્યારે લગભગ નહિવત્ત છે. જો કે રાજ્ય સરકારના અધિકારીઓનું કહેવું છે કે, આ વર્ષે પાણીની તંગી છે, પરંતુ લોકોએ ચિંતા કરવાની જરુર નથી. અધિકારીઓનું માનવું છે કે આ ચોમાસામાં રાજ્યમાં પડી રહેલી આ પાણીની તંગીની મુશ્કેલી દૂર થઈ જશે.