શ્રીનગરની મહારાજા હરિસિંહ હોસ્પિટલમાંથી છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે નાટકીયરીતે ફરાર થયેલા કુખ્યાત પાકિસ્તાની ત્રાસવાદી નવીદ જટ ફરી એકવાર ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબામાં સામેલ થઇ ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસના સુત્રોના કહેવા મુજબ ભારે હથિયારોથી સજ્જ પાકિસ્તાની ત્રાસવાદીઓએ સરહદ પાર કરીને થોડાક દિવસ પહેલા જ જટને લશ્કરની સાથે ફરી સામેલ કરી દીધો હતો. ત્રાસવાદીઓના આ ગ્રુપે દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાં હુમલા કરવા માટે યોજના તૈયાર કરી લીધી છે તે હવે લશ્કરે તોઇબાના માસ્ટરમાઈન્ડ અને દક્ષિણ કાશ્મીરમાં ચીફ ઓપરેશન કમાન્ડર તરીકે બની ગયો છે. લશ્કરે કાશ્મીર ખીણમાં પોતાના ટોપના ત્રાસવાદીઓને ગુમાવી દીધા બાદ હવે નવીદને જવાબદારી સોંપી છે. તેના અનેક કુખ્યાત લીડરોને મોતને ઘાટ ઉતારી દીધા બાદ મોટી જવાબદારી નવીદને સોંપવા માટે તેને કમાન્ડર બનાવવામાં આવ્યો છે. પાટનગર શ્રીનગરના ભીડવાળા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાંથી ૨૨ વર્ષીય પાકિસ્તાની ત્રાસવાદી ફરાર થઇ ગયા બાદ જમ્મુ કાશ્મીરમાં લોકો હચમચી ઉઠ્યા હતા. આ મામલામાં હજુ સુધી ચાર ઓવરગ્રાઉન્ડ વર્કરોને પકડી પાડવામાં આવ્યા છે. પાંચમા આરોપી હિલાલ અહેમદ લશ્કર સાથે સંબંધ ધરાવે છે. નવીદને ભગાડી દેવામાં આતંકવાદીઓએ પુરતી મદદ કરી હતી. આ લોકોને હોસ્પિટલના સીસીટીવીના આધાર પર પકડી પાડવામાં આવ્યા છે. નવીદ પાકિસ્તાનના મુલ્તાનનો નિવાસી છે. તેને અબુ હંજુલા નામથી પણ ઓળખવામાં આવે છે. તેના પર જમ્મુ કાશ્મીરમાં અનેક હત્યાઓને અંજામ આપવાનો આક્ષેપ છે. તેના હુમલામાં હજુ સુધી સાત પોલીસ જવાન શહીદ થઇ ચુક્યા છે. નવીદને જૂન ૨૦૧૪માં પ્રથમ વખત પકડી પાડવામાં આવ્યો હતો. તેના લશ્કરે તોઇબાના ઉંચા સંબંધો પણ રહેલા છે. જમ્મુ કાશ્મીરમાં અનેક ત્રાસવાદી સંગઠનો સક્રિય થયેલા છે.