જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલા થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કાશ્મીર ખીણમાં હજુ પણ ૩૦થી ૪૦ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. આ ત્રાસવાદીઓ હુમલાની રાહ જોઇ રહ્યા છે. મળેલી માહિતી મુજબ ખીણમાં ૩૦થી ૪૦ ત્રાસવાદીઓ છે તેમાં વિદેશી ત્રાસવાદીઓનો પણ સમાવેશ થાય છે. આ ત્રાસવાદીઓ લીપા ખીણ, મંડલ, રામપુર અને અન્ય જગ્યાઓ ઉપર છુપાયેલા છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાનમાં જ્યારે પણ દબાણ આવે છે ત્યારે આ ત્રાસવાદીઓને હુમલા કરવા માટે કહી દેવામાં આવે છે. અંકુશરેખા ઉપર તથા આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગોળીબાર મારફતે ત્રાસવાદીઓને ઘુસાડવાના પ્રયાસો સતત કરવામાં આવે છે. કુપવારા, તંગધારમાં પણ મોટી સંખ્યામાં આતંકવાદીઓ છુપાયેલા છે. રવિવારના દિવસે પણ ત્રાસવાદીઓ દ્વારા બે જુદા જુદા હુમલા કરવામાં આવ્યા છે જેમાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. પ્રથમ ઘટનામાં ત્રાસવાદીઓએ ચરારેશરીફ દરગાહ નજીક પોલીસ ચોકી ઉપર હુમલો કર્યો હતો જ્યારે બીજી ઘટનામાં હુર્રિયત નેતાના આવાસની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓએ બડગામ જિલ્લાના ચરારેશરીફમાં સુફી શેખ નુરુદ્દીન નુરાનીની દરગાહ નજીક પોલીસ ચોકીને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. ગોળીબારમાં જમ્મુ કાશ્મીર પોલીસની ૧૩મી બટાલિયનના કોન્સ્ટેબલ કુલતારસિંહ ઘાયલ થઇ ગયા હતા. સિંહને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. બીજી ઘટના શ્રીનગર સૌરા વિસ્તારમાં થઇ હતી. આ ઘટનામાં હુર્રિયત નેતા ફઝલ હક કુરેશીના આવાસની બહાર પોલીસ ચોકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કોન્સ્ટેબલ ફારુક અહેમદ શહીદ થયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, કુરેશી ડિસેમ્બર ૨૦૦૯માં ત્રાસવાદી હુમલામાં ઘાયલ થઇ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર વિસ્તારમાં તપાસનો દોર હજુ પણ ચાલી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલના સમયમાં આતંકવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે જેના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આ ત્રાસવાદીઓમાં કેટલાક ટોપ લીડરનો સમાવેશ થાય છે.
લશ્કરે તોઇબા અને જૈશના ત્રાસવાદીઓમાં ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે ભારે ખળભળાટ મચેલો છે. આ બંને આતંકવાદી સંગઠનોના લીડર બનવા પણ હાલમાં કોઇ તૈયાર નથી. પાકિસ્તાન ઉપર વધતુ જતું દબાણ પણ મુશ્કેલી સર્જે છે. આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર ગોળીબાર મારફતે આતંકવાદીઓને ઘુસાડવાના પ્રયાસો સતત થતાં રહ્યા છે. પુલવામા જિલ્લામાં મહિલાના વેશમાં આવેલા ત્રાસવાદીએ પોલીસ કોન્સ્ટેબલ પર ગ્રેનેડ હુમલો કરી દીધો હતો પરંતુ આ હુમલાના સકંજામાં પોતે જ ફસાઈ ગયો હતો અને તેનું મોત થયું હતું.
પાછલી પોસ્ટ