ક્રાંતિકારીઓની ધરતી ગણાતી મેરઠમાં રાષ્ટ્રી સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં આજે સ્વયંસેવકો ઉમટી પડ્યા હતા. ચારેબાજુ ભગવા ધ્વજ જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આશરે ત્રણ લાખ સ્વયંસેવકો પહોંચવાના લીધે સમગ્ર વાતાવરણ કેસરિયા બની ગયું હતું. સંઘના કાર્યક્રમ રાષ્ટ્રોદયમાં ભાગ લેવા માટે સવારથી જ સ્વયંસેવકો મેરઠમાં ઉમટી પડ્યા હતા. બપોર સુધી સ્વયંસેવકો દ્વારા પહોંચવાનો સિલસિલો જારી રહ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન વીઆઈપી લોકોનો કોઇ હોબાળો રહ્યો ન હતો. અહીં પહોંચનાર મંત્રી, સાંસદ, ધારાસભ્ય પણ સામાન્ય સ્વયંસેવકના રુપમાં સમાગમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા હતા. જિલ્લામાં સમાગમ તરફથી આવનાર આઠ પ્રમુખ માર્ગો ઉપર પ્રવેશ દરમિયાન જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવામાં આવી હતી. એડીજી, આઈજી, એસએસપી સવારથી જ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ પહોંચ્યા હતા. સ્વયંસેવકોની લાખોની ભીડના પરિણામ સ્વરુપે મેરઠ ભગવા રંગમાં રંગાઈ ગયું હતું. ગૌત્તમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદ શહેર, હાપુડ, બાગપત, સામલી, મુઝફ્ફરનગર, સહારનપુર, બિજનૌર તરફથી લાખોની સંખ્યામાં સ્વયંસેવકો પહોંચવા લાગી ગયા હતા. ત્રણ લાખ લોકો કાર્યક્રમ માટે પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી મહેશ શર્મા, પ્રદેશના મંત્રી કેએસ રાણા, ઉપમા જયસ્વાલ, ધર્મસિંહ સૈની પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકો સામાન્ય સ્વયંસેવકના રુપમાં પહોંચ્યા હતા. સુરેશ રાણાએ કહ્યું હતું કે, તેઓ મંત્રી તરીકે નહીં બલ્કે સ્વયંસેવક તરીકે પહોંચ્યા છે. દરેક જિલ્લાને જગ્યા આપવામાં આવી છે. તેમના માર્ગદર્શન માટે જુદી જુદી જગ્યાઓ ઉપર સ્વયંસેવકો ગોઠવાઈ ગયા છે. મુસ્લિમ સમાજના લોકો પણ સ્વયંસેવકોનું સ્વાગત કરતા નજરે પડ્યા હતા. મેરઠમાં જાગૃતિ વિહાર એક્સટેન્શનમાં રાષ્ટ્રોદય સ્થળના ગેટ નંબર એક પર ભારત માતા કી જય અને વંદેમાતરમના નારા ગુંજી ઉઠ્યા હતા.