ઉત્તરપ્રદેશમાં અચ્છે દિનની શરૂઆત થઇ રહી હોવાના સંકેત મળવા લાગી ગયા છે.ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં શરૂ થયેલી બે દિવસીય યુપી ઇન્વેસ્ટર્સ સમિટના પ્રથમ દિવસે જ દેશના ટોપના ઉદ્યોગપતિઓએ ઉત્તરપ્રદેશમાં નાણાંનો વરસાદ કર્યો હતો. સમિટના પ્રથમ દિવસે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા સહિતના ટોપના ઉગ્યોગપતિઓએ તેમની તિજોરી ઉત્તરપ્રદેશ માટે ખોલી દીધી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે યુપી ઇન્વેસ્ટર્સ સમિટમાં પ્રથમ દિવસે જ ૪.૨૮ લાખ કરોડ રૂપિયાના ૧૦૪૫ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમમે કહ્યુ હતુ કે આ વર્ષે ઉત્તરપ્રદેશનુ બજેટ પણ ૪.૨૮ લાખ કરોડ રૂપિયાનુ છે. તેમણે કહ્યુ હતુ કે સ્માર્ટ સિટી હેઠળ ૯૯ શહેરોમાં યુપીના ૧૦ શહેર સામેલ છે. ઉત્તરપ્રદેશના કાનપુર, વારાણસી, ગોરખપુર, અલ્હાબાદમાં મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સમિટની શરૂઆત થયા બાદ સૌથી પહેલા રિલાયન્સ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ જંગી રોકાણની રૂપરેખા તૈયાર કરવામાં આવ્યા બાદ આગામી સમયમાં ઉત્તરપ્રદેશના ચહેરાને સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવનાર છે. અગાઉ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત થઇ હતી. આ પ્રસંગે તમામ ટોપ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, એસ્સેલ ગ્રુપના સુભાષ ચન્દ્રા, આદિત્ય બિડલા ગ્રુપના કુમાર મંગલમ બિડલા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલનો સમાવેશ થાય છે. અનેક અન્ય ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. મુકેશ અંબાણીએ પોતાની કંપની દ્વારા રોકાણની જાહેરાત કરી હતી. આદિત્ય બિડલા ગ્રુપે પણ ૨૫૦૦૦ કરોડના રોકાણ કરવાની જાહેરાત કરી હતી. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય ઇન્વેસ્ટર્સ સમિટનુ ઉદ્દઘાટન કર્યુ હતુ. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં બે દિવસીય ઇન્વેસ્ટર સમિટની આજે શરૂઆત થઇ હતી. તમામ ઉદ્યોગપતિઓ મંચ પર દેખાયા હતા. આને લઇને તમામ તૈયારી યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કહી ચુક્યા છે કે દેશના અન્ય રાજ્યોમાં યોજાતા સમિટ કરતા આ સમિટનુ કદ ખુબ મોટુ છે. શિખર સંમેલનના સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ખાસ રીતે હાજર રહેશે. ઇન્વેસ્ટર સમિટમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, નાણાંપ્રધાન અરૂણ જેટલી, માર્ગ પરિવહન પ્રધાન નિતિન ગડકરી પણ હાજર રહ્યા છે. ઇન્વેસ્ટર સમિટમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને આનંદ મહિન્દ્રા ખાસ રીતે પહોંચ્યા હતા. સમિટ પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે કે તેઓ રાજ્યમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે ભ્રષ્ટાચારને નાબુદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને સુધારી દેવા માટે દિન રાત એક કરી રહ્યા છે. એક રોકાણકાર માટે આદર્શ માહોલ જરૂરી છે. તે અધિકારીઓના કારણે ભ્રષ્ટાચારનો શિકાર ન બને અને તેની પ્રોપર્ટી સુરક્ષિત રહે તેમ રોકાણકારો ઇચ્છે છે. જેથી તેમની સરકાર આ બન્ને બાબતોને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે કહ્યુ હતુ કે સરકારના પ્રયાસોના કારણે ઉત્તરપ્રદેશ હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે સાતમા ક્રમાકે પહોંચી ગયુ છે. તે પહેલા ૧૭માં સ્થાને હતુ.ઉત્તરપ્રદેશની છાપ હાલના દિવસોમાં ખુબ શક્તિશાળી અને વિકસિત રાજ્ય તરીકે ઉભરી રહી છે. આ સમિટના કારણે મોટા પાયે રોજગારની તક સર્જાય તેવી પણ શક્યતા છે.ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ કહ્યુ હતુ કે આગામી ત્રણ વર્ષની અંદર જ ૪૦ લાખ યુવાનોને રોજગારી આપવામાં આવનાર છે. આ લક્ષ્યને ઝડપથી હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવનાર છે.