ચૂંટણી રાજ્ય કર્ણાટકમાં જનઆશીર્વાદ યાત્રા ઉપર નિકળેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલે પોતાની યાત્રાના બીજા દિવસે કહ્યું હતું કે, મોદીએ ભાષણ આપવાના બદલે હવે કામ શરૂ કરી દેવા જોઇએ. કારણ કે તેમની સરકારની અવધિ પૂર્ણ થવામાં વધારે સમય રહ્યો નથી. રાહુલે કહ્યું હતું કે, મોદીને ચૂંટણીના સમયે લોકોને બતાવવું પડશે કે છેલ્લા પાંચ વર્ષમાં તમે શું કર્યું છે. પાંચ વર્ષ પૂર્ણ થવા આડે હવે વધારે સમય રહ્યો નથી. રાહુલે કહ્યું હતું કે, પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે પરંતુ હજુ ખાતા પણ ખોલાયા નથી. કર્ણાટકના કરાટગીમાં એક ચૂંટણી સભાને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, કેન્દ્ર અને મોદી પોતે ફ્લોપ રહ્યા છે. સંસદમાં મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે, થોડાક દિવસ પહેલા સંસદમાં મોદીએ એક કલાક અને ૪૫ મિનિટ ભાષણ ાપ્યું હતું પરંતુ દેશની સમસ્યા અને ખેડૂતોના મુદ્દા ઉપર કોઇ વાત કરી ન હતી. તેમણે ઉમેર્યું હતું કે, મોદીને દેશના લોકોને કોંગ્રેસની વાત કરવા માટે વડાપ્રધાન બનાવવામાં આવ્યા નથી. યુવાનોને રોજગારી, હોસ્પિટલો બનાવવા, કોલેજો બનાવવા અને ખેડૂતોની મદદ કરવા માટે વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. રાહુલે કર્ણાટક સરકારની ખેડૂત લોન માફી અને ઇન્દિરા કેન્ટીન જેવી યોજનાઓ ઉપર કોંગ્રેસ પાર્ટીને મત આપવા લોકોને અપીલ કરી હતી. રાહુલે કહ્યું હતું કે, કોઇપણ દેશમાં બે પ્રકારની સરકાર હોય છે. એક સરકાર દેશના નાણાં અમીર લોકોને આપે છે. બીજી સરકાર આ નાણાનો ઉપયોગ ગરીબ લોકો માટે કરે છે. એક સરકાર અન્યાય અને ઘમંડના સિદ્ધાંત ઉપર કામ કરે છે. બીજી સરકાર ન્યાય અને કરુણાના સિદ્ધાંત ઉપર ચાલે છે. આજે દિલ્હીમાં જે સરકાર છે તે ૫-૧૦ અમીર લોકો માટે કામ કરે છે. મોદી પર ઔદ્યોગિક આવાસોની મદદ કરવાનો આક્ષેપ કરતા રાહુલે કહ્યું હતું કે, ગયા વર્ષે મોદી સરકારે એક લાખ ૩૦ હજાર કરોડ રૂપિયા દેશના ૧૦ સૌથી અમીર પરિવારોની લોન માફી માટે કર્યો હતો. ભારતના સૌથી અમીર લોકોને લોન માફીને લઇને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત માફી માટે પણ અપીલ કરવામાં આવી હતી. એનડીએના નેતા મોદી કહે છે કે, તેઓ દલિત અને આદિવાસીઓની મદદ કરે છે પરંતુ જ્યાં પણ જાય છે ત્યાં દલિતો માટે વાત કરતા નથી. પૈસા આપવાની વાત આવે છે ત્યારે શાંત થઇ જાય છે.
(અનુસંધાન નીચેના પાને)