ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં શાસક પક્ષ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીને પરાજિત કરવાના હેતુસર ભાજપે જોરદાર તૈયારી કરી છે. ભાજપે જોરદાર તૈયારીના ભાગરુપે આક્રમક પ્રચારનો દોર જારી રાખ્યો છે. ભાજપ પ્રમુખ અમિત શાહ પોતે મોરચો સંભાળી ચુક્યા છે. અમિત શાહે આજે શ્રેણીબદ્ધ ચૂંટણી રેલી યોજી હતી અને રોડશો યોજ્યા હતા. સીપીએમ સરકારની જોરદાર ઝાટકણી કાઢતા અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ સીપીએમની ચૂંટણી હિંસાથી ડરનાર પાર્ટી નથી. આ વખતે પ્રજા પરિવર્તનના મૂડમાં દેખાઈ રહી છે. અહીં ભાજપ ગઠબંધનની ચોક્કસપણે જીત થશે. અમિત શાહે કહ્યું હતું કે, અહીંની પ્રજાને દબાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમને મતદાન કરવા જતા રોકવામાં આવી રહ્યા છે. અમિત શાહે સીપીએમના નેતાઓને પડકાર ફેંકતા કહ્યું હતું કે, આ વખતે ટક્કર ભાજપ સાથે છે જેથી તેમને સાવધાન થઇ જવું જોઇએ. અમિત શાહે રોડ શો કર્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ વખતે સરકાર બનાવવા માટે ભાજપના નેતાઓ જુદા જુદા વચનો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, અહીં લાલભાઈઓની સરકાર છે. કોમ્યુનિસ્ટોની સરકાર છે. ભાજપની સરકાર બન્યા બાદ સરકારી કર્મચારીઓને સાતમા વેતન પંચના લાભ મળશે. ત્રિપુરામાં અમે હિંસાની રાજનીતિનો અંત લાવીને વિકાસની રાજનીતિ ઉપર આગળ વધવા ઇચ્છુક છીએ. ત્રિપુરામાં સ્ટાલિન અને લેનિનના જન્મદિવસ મનાવવામાં આવે છે પરંતુ વિવેકાનંદ અને ટાગોરના જન્મદિવસ મનાવવામાં આવતા નથી. ભાજપની સરકાર આવ્યા બાદ ત્રિપુરાને મોડલ સ્ટેટ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવશે. ત્રિપુરામાં ૧૮મી ફેબ્રુઆરીના દિવસે મતદાન થશે અને ત્રીજી માર્ચે પરિણામ જાહેર કરાશે.