શહેરના સરખેજ વિસ્તારમાંથી પોલીસે નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને ઘટનાસ્થળેથી નકલી ઘીના ૭૦થી વધુ ડબાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપીઓ દ્વારા અમૂલ, સાગર જેવી બ્રાન્ડેડ કંપનીના ઘીના ડબાઓમાં નકલી ઘી ભેળસેળ કરી અમદાવાદ સહિત રાજયભરના જુદા જુદા સ્થળોએ બારોબાર વેચી મારવામાં આવતા હતા. પોલીસના દરોડા દરમ્યાન આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પાડેલા દરોડા દરમ્યાન નકલી ઘીના જથ્થા સહિત રૂ.પાંચ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો. સરખેજ પોલીસે આ સમગ્ર કૌભાંડ અઁગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરના સરખેજ વિસ્તારમાં ઉજાલા ચોકડીથી સાણંદ જતાં સાગર એસ્ટેટમાં બી-૧૦ નંબરના ગોડાઉનમાં બ્રાન્ડેડ ઘીમાં નકલી ઘી ભેળસેળ કરી રાજયના વિવિધ વિસ્તારોમાં વેચવાનું કૌભાંડ ચાલતુ હોવાની ચોક્કસ બાતમીના આધારે સરખેજ પોલીસે ગઇ મોડી રાત્રે નકલી ઘી બનાવવાની ફેકટરી પર દરોડો પાડયો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટનાસ્થળેથી નકલી ઘી બનાવવાની સામગ્રી અને બ્રાન્ડેડ ઘીના ડબાઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી અમૂલ, સાગર જેવી બ્રાન્ડેડ કંપનીઓના ઘીના ડબ્બાઓ સહિત રૂ. પાંચ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો, સાથે સાથે નકલી ઘીના ૭૦ જેટલા ડબાઓ જપ્ત કર્યા હતા. જો કે, પોલીસના દરોડા પહેલા જ ફેકટરીના માલિક અને કારીગરો સહિતના આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, આરોપીઓ આ સ્થળેથી અમૂલ, સાગર જેવી બ્રાન્ડેડ કંપનીના ઘીના ડબાઓમાં નકલી ઘી ભેળસેળ કરી ડબાઓ પેક કરી બારોબાર તે અમદાવાદ સહિતના રાજયના જુદા જુદા સ્થળોએ વેચી મારતા હતા. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ દ્વારા આ નકલી ઘીનો કારોબાર ચલાવવામાં આવતો હતો, જેનો પોલીસે આજે પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં જરૂરી ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.