એનડીએમાં ભંગાણ પડવાને લઇને સંકટ ટળી ગયું છે. અમરાવતીમાં આજે ટીડીપીની બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠકમાં ધારણા પ્રમાણે કોઇ નિર્ણય લેવાયા ન હતા. ભાજપ સાથે તીવ્ર મતભેદ હોવા છતાં ભાજપ સાથે છેડો ફાડવાનો ટીડીપીએ ઇન્કાર કરી દીધો છે. ભાજપ અને ટીડીપી ગઠબંધન ઉપરનું સંકટ હવે ટળી ગયું છે. બેઠક બાદ મિડિયામાં ચાલી રહેલી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાવતા કેન્દ્રીય મંત્રી વાયએસ ચૌધરીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની શિવસેના અથવા તો અમિત શાહ સાથે કોઇ વાતચીત થઇ નથી. અગાઉ એવી અટકળો આવી હતી કે, અમિત શાહની દરમિયાનગીરી બાદ ગઠબંધન પરનું સંકટ ટળી ગયું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, બેઠકમાં બજેટ અને બજેટમાં આંધ્રપ્રદેશની અવગણનાના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું ે, આંધ્રપ્રદેશના વિકાસને લઇને દબાણ જારી રાખવામાં આવશે. આ મુદ્દે સંસદમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવશે. મિડિયા રિપોર્ટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, એનડીએ સાથે ટીડીપી છેડો ફાડશે નહીં. અગાઉ મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અમિત શાહે ફોન કર્યા બાદ ચંદ્રબાબૂ નાયડૂએ હળવું વલણ અપનાવ્યું હતું. અમિત શાહે મુખ્યમંત્રીને કઠોર પગલા ન લેવા માટે સલાહ આપી હતી. અરુણ જેટલી દ્વારા પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવેલા બજેટ બાદ ટીડીપીના નેતાઓએ સતત આક્ષેપ કરતા કહ્યું હતું કે, આંધ્રપ્રદેશની બજેટમાં સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. મુખ્યમંત્રી નાયડુએ પોતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગઠબંધન તેમની કોઇ મજબૂરી નથી. નાયડુએ કેન્દ્રીય બજેટ ઉપર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારે રાજ્યની અવગણના કેમ કરી છે તેવો પ્રશ્ન પણ કર્ય હતો. તેમણે કહ્યું હતું કે, બેંગ્લોર, મુંબઈ અને અમદાવાદ માટે જંગી નાણા ફાળવવામાં આવ્યા છે પરંતુ વિજયવાડા-વિશાખાપટ્ટનમ મેટ્રો માટે કોઇ નાણા મળ્યા નથી.