Aapnu Gujarat
ગુજરાત

અમ્યુકોનું રૂપિયા ૬૯૯૦ કરોડનું બજેટ સ્ટે. કમિટિમાં મંજૂર કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૬૫૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૪૯૦ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું કુલ રૂ.૬૯૯૦ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રેવન્યુ ખર્ચમાં રૂ.૩૦૦ કરોડ અને વિકાસના કામોમાં રૂ.૧૯૦ કરોડ મળીને કુલ રૂ.૪૯૦ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. વળી, મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોપર્ટી ટેકેસમાં જંત્રી આધારિત ૫૦ ટકા રાહત પાછી ખેંચાઇ હતી, તેમાં ૨૫ ટકાની રાહત ચાલુ રાખવામાં આવી છે, જેના કારણે શહેરના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રૂ.૩૫ કરોડની રાહત મળવાનો અમ્યુકો સત્તાધીશોએ દાવો કર્યો હતો પરંતુ જાણકારોના મતે, વાસ્તવમાં રૂ.૮૦થી ૮૫ કરોડનો બોજો નાગરિકો પર પડવાની સંભાવના છે. અમ્યુકો સત્તાધીશોના મતે, શહેરમાં ૬.૩૫ લાખ મિલકતોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સની આકારણીમાં અસર થશે પરંતુ વાસ્તવમાં આઠ લાખથી વધુ પ્રોપર્ટીને તેની અસર થશે. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર થશે. સામાન્ય વેરામાં, વોટર અને કન્ઝર્વન્સી ટેક્સ કે વાહનવેરામાં કોઇપણ પ્રકારના વધારા વિનાનું ફુલગુલાબી બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું હતું. અમ્યુકોના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટ અંગે માહિતી આપતાં મેયર ગૌતમભાઇ શાહ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પ્રવીણભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો નોંધાય તેના પ્રયાસના ભાગરૂપે અમ્યુકો દ્વારા ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે અને કાર્બનના પ્રમાણમાં ઘટાડો થાય તે હેતુથી ૨૦૧૮-૧૯ દરમ્યાન ઇલેકટ્રીક વાહનોના આરટીઓ પાસીંગ વખતે વસૂલાતા આજીવન વાહનવેરામાં ૫૦ ટકાની રાહત આપવાનું નક્કી કરાયું છે. શહેરમાં વિકાસના કાર્યો માટે સ્ટેન્ડીંગ કમીટીએ રૂ.૧૯૦ કરોડના જે વધારા સૂચવાયા છે, તેમાં નરોડા પાટિયા ચાર રસ્તા ફલાય ઓવરબ્રીજ નવો તૈયાર કરવા માટે રૂ.૧૦ કરોડની ફાળવણી, ઉપરાંત, કાલુપુર રેલ્વે ઓવરબ્રીજ પહોળો કરવા, કુબેરનગર રેલ્વે ઓવરબ્રીજ અંગે ફિઝીબીલિટી રિપોર્ટ તથા વાસણા પિરાણા ડો.બાબા સાહેબ આંબેડકર પુલ નીચે રંગસાગર ફલેટથી પસાર થતા રસ્તા અંગે ફિઝીબીલિટી રિપોર્ટ તૈયાર કરવા રૂ.૨ કરોડની જોગવાઇ, શહેરમાં નવી ટી.પી સ્કીમમાં આર.સી.સી.રોડના આયોજન માટે રૂ.૧૫ કરોડ, સિવિલ હોસ્પિટલ, જગન્નાથ મંદિર, જમાલપુર વિસ્તારને એરિયા ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત વિકસાવવા રૂ.૧૦ કરોડ, રોડ પ્રોજેકટની કામગીરી માટે મેટલ ડેપો, મટીરીયલ ટેસ્ટીંગ લેબોરેટરી તથા હોટમીક્ષ પ્લાન્ટ માટે રૂ.૨૦ કરોડ, પૂર્વમાં નરોડા ખાતે ૧૦ એમએલડી ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.૧૦ કરોડ, હાઉસીંગ બોર્ડ વસાહતમાં સુવિધા માટે રૂ.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે, આ સિવાય અન્ય વિકાસ કાર્યો માટે પણ રૂ.૨૫ લાખથી લઇ રૂ.પાંચથી દસ કરોડ સુધીની અલગ-અલગ ફાળવણી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાસક પક્ષના બજેટમાં વિકાસના કામો પાછળ રૂ.૩૪૯૦ કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં મ્યુનિસિપલ કાઉન્સીલરને વાર્ષિક રૂ.૧૭ લાખ બજેટ ફાળવવાની મ્યુનિ.કમિ.ની દરખાસ્તમાં રૂ.આઠ લાખનો વધારો કરી વાર્ષિક રૂ.૨૫ લાખ ફાળવવાનું નક્કી કરાયું હતું. જે પૈકી રૂ.૩ લાખ સ્વચ્છતા અભિયાન માટે ખર્ચ કરવાના રહેશે. આ સિવાય શહેરમાં લેફ્ટ ટર્ન ફ્રી ટ્રાફિક વ્યવસ્થા માટે રૂ.પાંચ કરોડ, પાણીના નવા બોર માટે વધુ પાંચ કરોડની ફાળવણી, શહેરના પૂર્વ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ રિડીંગ લાઇબ્રેરી અને ઓડિટોરીયમ માટે રૂ.૨ કરોડ, ઝીરો બજેટ હેડ હેઠળ રૂ.૧૪.૬૫ કરોડની ફાળવણી, શહેરમાં પ્રવેશવાના ચાર મુખ્ય દ્વારો પર વર્લ્ડ હેરીજેટ સીટી પ્રવેશ દ્વાર તૈયાર કરવા માટે રૂ.૩ કરોડ, શહેરના લાંભા રંગોળીનગર અને નિકોલ ખાતે નવા મ્યુનિસિપલ શાળાના મકાનો માટે રૂ.૩ કરોડ, શહેરમાં અમ્યુકોના છ નવા પાર્ટી પ્લોટો માટે રૂ.૨ કરોડ, મેયર હાઉસના રિનોવેશન માટે રૂ.૨ કરોડની ફાળવણી, શહેરના જૂના ગામતળના વિકાસ માટે રૂ.પાંચ કરોડ, સીટી સિવિક સેન્ટરોના નવીનીકરણ માટે રૂ.પાંચ કરોડ, શહેરમાં સીટી ડિઝાઇન સેલની રચવા માટે રૂ.પાંચ કરોડ, કાંકરિયા લેકફ્રન્ટ અને રિવરફ્રન્ટ ખાતે સ્માર્ટ લાઇટીંગ સીસ્ટમ માટે રૂ.૨ કરોડ અને સાબરમતી રિવરફ્રન્ટમાં પ્રવેશતા રસ્તાઓ પહોળા કરવા માટે રૂ.૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રૂ.૨૧૯ કરોડની ગ્રાંટ, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયને રૂ.૩.૭૭ કરોડથી વધુની ગ્રાંટ અને વી.એસ.હોસ્પિટલને રૂ.૫૧.૯૫ કરોડથી વધુની ગ્રાંટ ફાળવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ જ પ્રકારે ઇડબ્લ્યુએસ અને એલઆઇજી આવાસ યોજનાની ખુલ્લી જગ્યામાં પેવર બ્લોક માટે રૂ.૩ કરોડ, નોન ટીપી રસ્તાઓના વિકાસ માટે રૂ.૨.૫૦ કરોડ, મ્યુનિસિપલ ગાર્ડનોમાં ઓડિયો મ્યુઝિક સીસ્ટમ માટે રૂ.એક કરોડ, છ ગાર્ડનમાં મેડિટેશન અને યોગા સેન્ટર માટે રૂ.એક કરોડ, મ્યુનિસિપલ બગીચાઓમાં રીસાઇકલ વોટરના ઉપયોગ માટે મીની એસટીપી માટે રૂ.એક કરોડ, બગીચાઓમાં ચિલ્ડ્રન પ્લે એરિયામાં રમત-ગમતના સાધનો માટે રૂ.એક કરોડ, સુવિધાપૂર્ણ મુકિતધામ માટે રૂ.૩ કરોડ, ખારીકટ કેનાલની સફાઇ માટે રૂ.૩ કરોડ, વધારાની પાંચ મોબાઇલ ડિસ્‌પેન્સરીવાન અને પાંચ એમ્બ્યુલન્સ વાન માટે રૂ. ૩ કરોડ અને અન્ય વિકાસ કાર્યો માટે અલગ-અલગ રકમની જોગવાઇ નવા બજેટમાં કરવામાં આવી છે.

Related posts

રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી

editor

कांग्रेस ने राष्ट्रविरोधी लोगों से मिलाया हाथ : अमित शाह

aapnugujarat

શિક્ષકોની બેદરકારી : વિદ્યાર્થી રાતભર વર્ગખંડમાં પૂરાઇ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1