અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અગાઉ રજૂ થયેલા રૂ.૬૫૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે અગાઉ શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં જંત્રી આધારિત રાહત પાછલા બારણે પાછી ખેંચી લેતાં નગરજનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી હતી, જેથી આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રજાજનોનો રોષ ખાળવા જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સમાં ૨૫ ટકાની રાહત ચાલુ રાખી છે, જેના કારણે અમ્યુકો સત્તાધીશોના દાવા મુજબ, શહેરના નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં રૂ.૩૫ કરોડની રાહત મળશે પરંતુ જાણકારોના મતે, વાસ્તવમાં રૂ.૮૦થી ૮૫ કરોડનો બોજો નાગરિકો પર પડવાની સંભાવના છે. અમ્યુકો સત્તાધીશોના મતે, શહેરમાં ૬.૩૫ લાખ મિલકતોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સની આકારણીમાં અસર થશે પરંતુ વાસ્તવમાં આઠ લાખથી વધુ પ્રોપર્ટીને તેની અસર થશે. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં તેની સૌથી વધુ અસર થશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમાર દ્વારા ફુલગુલાબી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ અને તેમાં રોડ-રસ્તાઓ, બ્રીજ અને પાર્કિંગ સહિતની સુવિધાઓ અને આયોજનોની મોટી મોટી વાતો કરવામાં આવી હતી પરંતુ અગાઉ નવા પશ્ચિમ ઝોનને અપાયેલી પ્રોપર્ટી ટેક્સની જંત્રી આધારિત ૫૦ ટકા રાહતને પાછલા બારણે પાછી ખેંચી લીધી હતી, આ અંગે મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદમાં પણ કોઇ ફોડ પાડયો ન હતો કે, નાગરિકો કે નગરજનોને જાણ થાય તેવી આગોતરી જાણ કે સત્તાવાર જાહેરાત પણ કરી ન હતી અને આમ એકાએક વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં જંત્રી આધારિત ટેક્સ આધારિત રાહત પાછી ખેંચી લેવાતા પશ્ચિમ ઝોનના નાગરિકોમાં સખત નારાજગી અને રોષની લાગણી ફેલાઇ હતી. મ્યુનિસિપલ કમિશનરના આ વિવાદીત નિર્ણયને પગલે પશ્ચિમ ઝોનના કરદાતાઓ અને નગરજનો પર આશરે રૂ.૧૦૦થી રૂ.૧૫૦ કરોડનો બોજો પડે તેમ હતો. જો કે, સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ બજેટ મંજૂરી અર્થે આવતાં શાસક પક્ષ ભાજપના સત્તાધીશોએ આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રજાજનોનો રોષ ખાળવા જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સમાં ૨૫ ટકાની રાહત ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૧ની જંત્રીનો અમલ ૨૦૧૪-૧૫ના વર્ષથી શરૂ થયો હતો અને જેમાં અગાઉ પશ્ચિમ ઝોનના નાગરિકોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેકસમાં પચાસ ટકા સુધીની રાહત આપવાની જાહેરાત કરાઇ હતી અને તેનો અમલ પણ કરાયો હતો.
મ્યુનિસિપલ કમિશનરે કોઇપણ પ્રકારની સત્તાવાર જાહેરાત અને આગોતરી જાણ વિના પાછલા બારણે આ જંત્રી આધારિત ટેક્સની રાહત પાછી ખેંચી લીધી હતી, તેથી શાસક પક્ષ ભાજપે ૫૦ ટકા રાહત પાછા ખેંચવાના નિર્ણયમાં ફેરફાર કરી જંત્રી આધારિત ટેક્સમાં ૨૫ ટકાની રાહત ચાલુ રાખી હતી અને પ્રજાને કંઇક અંશે રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો.