ભારતીય કિસાન સંઘે આકરા તેવર બતાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાતી હોવાની વાતને મુદ્દો બનાવતા સરકાર દ્વારા પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે ખરીદી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. એટલુંજ નહિં મગફળી વેચનારા ખેડૂતોને સમયસર નાણાં તો નથી જ મળતાં, પણ એક મહિનો થવા છતાં પણ નાણાં ચૂકવવામાં ન આવ્યા હોવાનું જણાવી સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંધ આકરા પાણીએ જોવા મળ્યું હતું. તેમણે મગફળી ખરીદી તેમજ સિંચાઈના પાણીના મુદ્દે આકરું વલણ દાખવતા સરકારની પોલ ખોલી હતી. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ જણાવ્યું હતું કે પડતર કિંમત કરતા પણ ટેકાનો ભાવ ઓછો અપાય છે. ખેડૂતોને એક મહિને પણ રૂપિયાની ચુકવણી થતી નથી.મગફળી ઉત્પાદનનો ખર્ચ પ્રતિ ૨૦ કિલોએ ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા છે ત્યારે ખર્ચ સામે ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. ખરીદીના કેન્દ્રો પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો કિસાન સંધ દ્વારા કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત સિંચાઈ માટે પૂરતુ પાણી ન મળતું હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જો આ મામલે નિવેડો નહિં આવે તો કિસાન સંઘ આંદોલન કરશે. આ મામલે સમગ્ર બાબતની સીએમ રૂપાણી સમક્ષ રજૂઆત કરાઇ હતી.