શ્રીમદ્ સ્વામી ચિદાનંદજી મહારાજ સ્મૃતિ વ્યાખ્યાનનું તા.૨૭મીના રોજ શહેરના જોધપુર ટેકરા વિસ્તારમાં સ્થિત શિવાનંદ આશ્રમ – ચિદાનંદમ્ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય પ્રવકતા જૂના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર શ્રીમદ્ સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ ખાસ ઉદ્બોધન કરવાના છે. સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજની ગુજરાત મુલાકાતને લઇ સાધુસમાજ અને સંતગણોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને તેમનું પ્રવચન સાંભળવાની ઉત્સુકતાની લાગણી ફેલાયેલી છે. સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ વર્તમાન યુગના પ્રેરણા પુરૂષ સ્વામી ચિદાનંદ વિષય પર પોતાનું મહ્ત્વપૂર્ણ પ્રવચન આપશે. આ અંગે શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી અરૂણભાઇ ડી.ઓઝાએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ સ્વામી ચિદાનંદજી મહારાજ સ્મૃતિ વ્યાખ્યાનના ભાગરૂપે સ્વામી અવધેશાનંદજી મહારાજ ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શિવાનંદ આશ્રમ ખાતે સાંજે ૫-૩૦થી ૬-૩૦ દરમ્યાન સ્વામી અવધેશાનંદજી મહારાજ વર્તમાન યુગના પ્રેરણાપુરૂષ સ્વામી ચિદાનંદ વિષય પર ઉદ્બોધન પ્રવચન આપશે. આ પ્રસંગે સાધુ-સંતો અને સમાજના જાગૃત નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં આ પ્રવચન કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર છે. આ સ્મૃતિ વ્યાખ્યાનનો જાહેરજનતાને મહત્તમ લાભ લેવા તેમણે જાહેર અનુરોધ કર્યો હતો.