જાન્યુઆરી મહિના સમાપ્ત થવા આવ્યો છતાં હજુ પણ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યુ હતું.
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મંદિર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તામાં ડિવાઇડર પર ઊંઘીને રાત પસાર કરતા ગરીબ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા તેમને મોડી રાત્રે સંતોએ ધાબળા ઓઢાડ્યા હતાં.
વડતાલ મંદિરમાં સેવા આપતા મુનિવલ્લભ સ્વામી તથા શ્યામ સ્વામીએ સેવકોની ટીમ સાથે આણંદ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ગુરુવાર રાત્રે ઠંડીમાં બહાર સૂતેલા ગરીબોને ધાબળા ઓઢાડ્યા હતાં. આ ધાબળાઓ મુંબઇના કિરિટભાઇ બાખડાએ સેવા માટે આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા વડતાલમાં જ એક હોસ્પિટલ ચલાવવામાં આવે છે જેમાં દાખલ થનાર દર્દીઓ પાસેથી એક પણ રૂપિય વસૂલવામાં આવતો નથી. દર્દી પાસેથી બહારથી દવા પણ લાવવા માટે કહેવામાં આવતુ નથી. એટલું જ નહીં જો વધુ સારવાર માટે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવે તો તે દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો અને ત્યા ઓપરેશન કરવા અને દવાનો ખર્ચ પણ વડતાલ મંદિર દ્વારા જ ઉઠાવવામાં આવે છે.
તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે વડતાલ મંદિરને પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવામા આવશે.