ઘણાં લાંબા સમયથી વિવાદો વચ્ચે ઘેરાયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલિઝને લઇને ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે તેવામાં ફિલ્મના નિર્માતા સંજય લીલી ભણસાલી આ ફિલ્મનું પ્રમોશન કરવાના મૂડમાં છે.
ભણસાલીની આ મેગાબજેટ ફિલ્મ પદ્માવતનું પ્રમોશન ભણસાલી પોતે અને એમના કલાકારો કરણ જોહરના ટીવી શોમાં કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. કરણ જોહર અને અન્ય ટોચના ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી હાલ ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર્સ નામનો ટીવી શો એન્કર કરે છે.આ શોમાં ફિલ્મઉદ્યોગ સાથે કોઇ સંબંધ ન હોય એવા પ્રતિભાવાન યુવક યુવતીઓને શોધીને ભવિષ્યમાં તક મળે એ પ્રકારે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આવતા સપ્તાહે સંજય લીલા ભણસાલી અને એમના કલાકારો રજૂ થશે અને પદ્માવતનું પ્રમોશન કરશે. કરણ જોહર અને રોહિત શેટ્ટીએ સામે ચાલીને સંજય લીલા ભણસાલીને પોતાના આ શોમાં આમંત્રિત કર્યા હતા એવી માહિતી મળી હતી. જો આ પ્રકારે ફિલ્મનું પ્રમોશન થાય તો ટેલિવિઝન પર નવો ટ્રેન્ડ શરૂ થઇ શકે છે. કરણ જોહર, રોહિત શેટ્ટી અને ભણસાલી ત્રણે બોલિવૂડના ટોચના નિર્માતાઓ ગણાય છે.અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે કરણ જોહર અને ભણસાલી વચ્ચે ખટપટ ચાલ રહી છે. પરંતુ તાજેતરમાં ખુદ કરણ જોહરે ભણસાલીની સર્જનકલાને બિરદાવી હતી અને એની સૌંદર્ય દ્રષ્ટિના વખાણ કર્યા હતા. ખાસ કરીને પદ્માવતીના રોલમાં દીપિકા પાદુકોણનો પહેલો લૂક રજૂ થયો ત્યારે કરણે જાહેરમાં ભણસાલીની સૌંદર્યદ્રષ્ટિના વખાણ કર્યા હતા. અગાઉ કરણને કંગના રનૌત સાથે પણ ખટપટ થઇ હતી પરંતુ કરણે એને ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર્સના સેટ પર કંગનાને આમંત્રણ આપીને આ વિવાદનો અંત લાવ્યો હતો. હવે કરણે ભણસાલીને આ શોમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે આમંત્રિત કર્યાં છે. હવે જોવું રહ્યું કે વિવાદોમાં સંપડાયેલી આ ફિલ્મ ક્યારે રિલિઝ થાય છે અને તેને દર્શકોનો કેવો પ્રતિભાવ સાંપડે છે.