હળવદ તાલુકાના માનસર ખાતે કાકી અને ભત્રીજો એક બીજાને પ્રેમ કરતા હતા અને બંને વચ્ચે અનૈતિક સબંધો હોવાનું જાહેર થઈ જતાં પ્રેમીઓએ પોતાનું પાપ સંતાડવા માટે બે લોકોની હત્યા કરી હતી અને મામલો પ્રકાશમાં આવતા ફરાર થઇ ગયા હતા.આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધાંગધ્રાના કોરપણી ગામનો એક પરિવાર છેલ્લા ૬ વર્ષથી હળવદ તાલુકાના માનસર ખાતે રહી ખેતમજુરી કરી ગુજરાન ચલાવતો હતો. પાંચ વ્યક્તિઓનો આ પરિવાર સાથે રહોતો હતો. ઘરની બાજુમાં જ ભત્રીજો રહેતો હતો જે પોતાની કાકી સાથે જ ખેતમજુરી કરતો હતો. સાથે મજુરી કરતાં કરતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો અને તેમણે પોતાની મર્યાદાઓ ઓળંગી લીધી હતી. ગત ૫ જાન્યુઆરીએ તેઓ ગામમાં બપોરે એકાંત માણી રહ્યા હતા ત્યારે જ પતિ ઘરે આવી ચઢ્યો હતો અને બંનેનો ભાંડો ફૂટી ગયો હતો. પત્ની-ભત્રીજાને કઢંગી હાલતમાં જોઈને જ પતિએ પિત્તો ગુમાવ્યો હતો અને ભારે બોલાચાલી થઈ હતી.આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ભત્રીજાએ કાકાને માથામાં ધોકાનો ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. વચ્ચે પડેલા સાસુને પણ તેણે લાકડાનો ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે તે પછી પોતાનો ગુનો સંતાડવા કાકી-ભત્રીજાએ બંને લાશોને કારમાં નાંખી તાલુકાના કોપરણી ગામના સ્મશાનમાં અંતિમવીધિ પણ કરી નાખી હતી.ઘટનાની જાણ માનસર ગામના સરપંચને થતાં પોલીસ સુધી માહિતી પહોંચી હતી જે પછી પોલીસે લાશ લઈ જવા માટે વપરાયેલી કાર કબજે કરી હતી. સ્મશાનમાં તપાસ કરી હતી. જોકે હજુ સુધી કાકી-ભત્રીજો પોલીસને હાથે ચઢ્યા નથી. લોકોએ જ્યારે કાકી-ભત્રીજાને બંનેના મોત અંગે પુછ્યું તો તેમણે લોકોને મુર્ખ બનાવવા ફંસો ખાઈ લીધો હોવાનું કહ્યું હતું. હાલ બંને ફરાર થઈ ગયા છે.