સંરક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર વર્ષ ૨૦૧૭માં ભરતી મેળામાં પસંદગી કરવામાં આવેલા યુવાનોની ઘટતી સંખ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આર્મીમાં ભરતી થયેલા યુવાનોની સંખ્યા ખુબ ઓછી નોંધાઈ છે. મોટી સંખ્યામાં યુવાનોએ અરજી કરી હોવા છતાં ખુબ ઓછી સંખ્યામાં યુવાનોની પસંદગી કરવામાં આવી છે. શારીરિક ટ્રેનિંગ અને કસરતને લઇને ધ્યાન નહીં આપવાના કારણે ગુજરાતના યુવાનો સેનામાં ભરતી થવાને લઇને પાછળ રહી ગયા છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં જે ભરતી થઇ હતી તે પૈકી માત્ર ૮૯૦ ઉમેદવારો જ પસંદગી પામી શક્યા છે જ્યારે ૧.૧૯ લાખની સંખ્યામાં અરજી કરવામાં આવી હતી. ભારતીય સેનામાં જવાન બનવા માટે મોટી સંખ્યામાં અરજી કરવામાં આવી હતી પરંતુ ભરતી થયેલાઓની સંખ્યા ૮૯૦ નોંધાઈ છે. વર્ષ ૨૦૧૬માં ૧૨૭૮ અને ૨૦૧૫માં ૧૦૮૩ યુવાનોની ભારતીય સેના માટે પસંદગી કરવામાં આવી હતી. ઓનલાઈન ભરતી પ્રક્રિયાની શરૂઆત થયા બાદથી ખુબ ઓછી પસંદગી કરવામાં આવી છે. ભારતીય સેનામાં ભરતી ડિવિઝન બનાવી દેવામાં આવ્યા છે. સુત્રોના કહેવા મુજબ નિરાશાજનક બાબત એ છે કે, ગુજરાતમાં શારિરીકરીતે પણ યુવાનો આગળ આવી શક્યા નથી. ૫.૪૫ મિનિટમાં ૧.૬ કિલોમીટરની દોડ પૂર્ણ કરવામાં ગુજરાતના યુવાનો મોટાભાગે નિષ્ફળ પુરવાર થઇ રહ્યા છે. ક્વાલીફાઈ માટેનો સમય અગાઉ ૬ મિનિટ હતો જેને હવે ઘટાડીને ૫.૪૫ મિનિટ કરવામાં આવ્યો છે. આણંદ અને ભાવનગરમાં ભરતી મેળામાં ૧૧૯૧૫૯ ઉમેદવારો પહોંચ્યા હતા. અમદાવાદ અને જામનગરની આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ હેઠળ આણંદ અને ભાવનગરમાં પણ ભરતી મેળા યોજાયા હતા. ભાવનગર અને આણંદમાં યોજાયેલી રેલીમાં ક્રમશઃ ૪૮૧૨૦ અને ૩૨૮૦૦ લોકો પહોંચ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઓછી સંખ્યામાં સેનાના જવાનોની ભરતી થઇ રહી છે. અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી રહી છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં ભરતી થયેલા જવાનોની અંગે ચિત્ર સ્પષ્ટ થયું છે.
આગળની પોસ્ટ