પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજાએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર લખ્યો. તેમણે લખ્યું કે, “હું તમને એ વાતની ખાતરી આપવા માંગું છું કે મેં કશું ખોટું કર્યું નથી. મેં જે કંઇપણ કર્યું એ રાષ્ટ્રહિતમાં હતું અને મેં આ સાબિત કર્યું છે.”
મનમોહનસિંહે જવાબ આપતા કહ્યું કે, “મને એ વાતની ખુશી છે કે તમે તમારી સત્યતા સાબિત કરી શક્યા છો.” ઉલ્લેખનીય છે કે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ ૨જી સ્પેક્ટ્રમ મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પૂર્વ મંત્રી એ. રાજા અને ડીએમકેના નેતા કનિમોઝી સહિત ૧૭ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
એ. રાજાએ પત્રમાં લખ્યું છે કે, દાયકા પહેલા આ જ દિવસે મેં તમને નવા યુએએસ લાઇસન્સને ઇસ્યુ કરવા માટે અને ૨જી સ્પેક્ટ્રમના અલોકેશન માટે પત્ર લખ્યો હતો. આપણા બેમાંથી કોઇને એવો ખ્યાલ ન હતો કે તે પત્રથી આગામી ૧૦ વર્ષ સુધી આપણા પર્સનલ અને પોલિટકલ કરિયર પર ભયંકર અસર થશે. તેના કારણે યુપીએ સરકારે સત્તા ગુમાવવી પડી અને મેં મારી જિંદગીના ૭ વર્ષ ગુમાવ્યા, જેમાંથી ૧૫ મહિના જેલમાં વીતાવ્યા.એ. રાજાએ આગળ લખ્યું કે, હું તમને યાદ કરાવવા માંગું છું કે મેં તમને ઘણીવાર કહ્યું હતું કે મેં કંઇ ખોટું નથી કર્યું પરંતુ જે કંઇ કર્યું તે રાષ્ટ્રહિતમાં કર્યું છે અને હું તે એક દિવસ સાબિત કરીશ. આજે હું નિર્દોષ સાબિત થયો છું.એ. રાજાએ કહ્યું કે, મને આશા છે કે તમે એ વાતને ધ્યાનમાં લેશો કે હું તમને હંમેશાં વિશ્વસનીય રહ્યો છું. હવે જ્યારે ૨જી વિશેનું સત્ય બધાની સામે આવી ગયું છે, ત્યારે તમે હવે કદાચ મને ખૂલીને સપોર્ટ કરી શકશો જે તમે આ પહેલા નહોતા કરી શક્યા.એ. રાજાને જવાબ આપતા મનમોહન સિંહે તેમને કહ્યું કે, તમારા પત્ર માટે ખૂબ આભાર. મને ખુશી છે કે તમે ૨જી કેસમાં નિર્દોષ સાબિત થયા છો. હું તમને અને તમારા પરિવારને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.