મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર સંસ્થાના આચાર્ય આચાર્ય સ્વામી શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા થી વિરમગામ પાસે આવેલા નળ સરોવર ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિરમગામ, બાવળા, અમદાવાદ, સાણંદ, કચ્છ વગેરે સ્થળોએ થી ૫૦૦થી ભક્તો હાજર રહયા હતા. પર્યાવરણ જાગૃતિ શિબિરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર બાવળાના મહંત શાંતિપ્રિયદાસ સ્વામિ, સર્વાત્માપ્રિય સ્વામિ સહિતના સંતોએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. સંસ્થાના આચાર્ય આચાર્ય સ્વામી શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પર્યાવરણ જાગૃતિ શિબીરમાં ઉપસ્થિત ભક્તોને ફોનથી આશિર્વાદ આપ્યા હતા અને ભગવાને રચેલી સૃષ્ટીની જાળવણી માટે અપીલ કરી હતી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર બાવળાના સર્વાત્માપ્રિય સ્મામિએ જણાવ્યુ હતુ કે, નળ સરોવર ખાતે સ્વામિનારાયણ ભગવાનની સાથે સંતો, ભક્તોએ પણ નૌકા વિહાર કર્યો હતો. નળ સરોવરની મધ્યમાં જન મંગલ સ્ત્રોત્રનો પાઠ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ માટે નુકશાનકાર પ્લાસ્ટીકની કોથળીઓનો ઉપયોગ ઘટાડવો જોઇએ. રોજીંદા જીવનમાં પાણીનો વ્યય અટકાવવો જોઇએ. પાણીનો બચાવશો તો પાણી આપણને બચાવશે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ લખ્યુ છે કે નદી તળાવના આરે, બગીચા, ખેતર, વૃક્ષની છાયા વગેરે જગ્યાએ મુળ મુત્ર ત્યાગ ન કરવો જોઇએ તથા થુકવુ પણ નહિ. આવી ભગવાનની આજ્ઞાને માનવી જોઇએ.
ભાઇચારો વધે તે માટે રમત ગમત
નળ સરોવર ખાતે આયોજિત પર્યાવરણ જાગૃતિ શિબીરમાં ઉપસ્થિત ભક્તોમાં સંપ ભાઇચારો વધે તે ઉદેશ્યથી રમત ગમતનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. શિબિરમાં ઉપસ્થિત ભક્તોએ કોથળા દૌડ, લીંબુ ચમચી, લોટમાંથી સિક્કો શોધવો, ત્રિ પગી દૌડ, માથાથી બોલને મારવો, દોરડા કુદ સહિત ૨૦થી વધુ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા