Aapnu Gujarat
બિઝનેસ

કેન્દ્ર સરકારે અનિસ્ટેડ કંપનીઓના શેરો પણ ડિમેટ સ્વરૂપમાં ફેરવી નાંખવા ચક્રો ગતિમાન કર્યા

કેન્દ્ર સરકારે અનિસ્ટેડ કંપનીઓના શેરો પણ ડિમેટ સ્વરૂપમાં ફેરવી નાખવાના તમામ ચક્રો ગતિમાન કરી દીધા છે નાણાપ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં ઝીરો અવર્સ દરમ્યાન માહિતી આપતાં કહ્યું હતું કે કંપની એક્ટ, ૨૦૧૩ની પેટાકલમ ૨૯ સરકારને એવો આદેશ આપવાની સત્તા આપે છે કે લિસ્ટેડ પબ્લિક કંપનીઓની જેમ જ અન્ય કેટેગરીમાં આવતી જાહેર કંપનીઓએ પણ ડિમટિરિયલાઇઝ્‌ડ રૂપમાં પોતાના શેરો ઇસ્યુ કરવા જોઇએ, તે ઉપરાંત આ પેટાકલમમાં તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે જે કંપનીઓ પબ્લિક ઇસ્યુ લઇને મૂડી બજારમાં પ્રવેશવાની યોજના ધરાવતી હોય તેઓએ પોતાના તમામ શેર ડિમિટરિયાલાઇઝ્‌ડ રૂપમાં જ ઇસ્યુ કરવા જોઇએ. જો કે આ દિશામાં હજુ સુધી કોઇ આખરી નિર્ણય લેવાયો નથી એમ જેટલીએ કહ્યું હતું.
કંપનીની શેરહોલ્ડિંગ પેટર્નમાં અને શેરોના સોદામાં વધુ પારદર્શીતા લાવવાના આશયથી અનલિસ્ટેડ પબ્લિક કંપનીઓને પોતાના શેરો ડિમટિરિયલાઇઝ્‌ડ રૂપમાં તબક્કાવાર ઇસ્યુ કરવા સેબી, થાપણદારો અને અન્ય પક્ષકારો સાથે મંત્રાલયે પરામર્શ કર્યો હતો.
જો અનલિસ્ટેડ પબ્લિક કંપનીઓ પોતાના શેરો ડિમેટ ફોર્મમાં ઇસ્યુ કરશે તો તે શેરોનો ઉપયોગ શ્રેષ્ઠ જામીનગીરીઓ તરીકે થઇ શકશે, વિવાદનું પ્રમાણ ઘટશે અને પેપર સ્વરૂપે રહેલાં શેરો સાથે સંકળાયેલા જોખમોનું પ્રમાણ ઘટશે એમ જેટલીએ જમશેદપુરના સંસદ સભ્ય વિદ્યુત બરાન મહાંતો દ્વારા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું.
આ ચર્ચાને આગળ વધારતા મહંતોએ કહ્યું હતું કે જો કંપનીઓ પેપરલેસ શેરો ઇસ્યુ કરશે તો શેરનું પ્રિન્ટિંગ કામ કરવામાં વપરાતા ટનબંધ કાગળનો વ્યય થતો ઘટી જશે અને પર્યાવરણને હાલ થઇ રહેલાં નુકસાનને રોકી શકાશે.
કેન્દ્ર સરકાર હાલ ડિજિટલ ઇન્ડિયા મિશન ઉપર ખુબ જ ભાર આપી રહી છે એવા સમયે તમામ કંપનીઓ પોતાના શેરો ડિમેટ સ્વરૂપમાં જ ઇસ્યુ કરે તે આજના સમયની તાતી માંગ છે. જો કે જેટલીએ એમ કહ્યું હતું કે આ અંગે લાગતા-વળગતા તમામ પક્ષકારો સાથે ચર્ચા-વિચારણા ને વિચાર-વિમર્શ કર્યા બાદ જ કોઇ આખરી નિર્ણય લેવાશે અને જ્યાં સુધી ખાનગી કંપનીઓનો સવાલ છે તો એ કંપનીઓના શેરહોલ્ડરોની સંખ્યા ઘણી ઓછી હોવાથી તેઓને શેરોનું પ્રિન્ટિંગ કામ કરવામાં બહુ કાગળની જરૂર પડતી નથી. દેશમાં હાલ ૧૦.૬૮ લાખ સક્રિય, અનલિસ્ટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ વેપાર ધંધો કરે છે, તે સાથે ૬૬,૦૬૩ અનલિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપનીઓ પોતાના કામકાજ કરે છે એમ આજે લોકસભાને માહિતી આપવામાં આવી હતી. જે ૧૦,૬૮,૮૨૯ સક્રિય, અનલિસ્ટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે તે પૈકી ૨,૧૦,૩૬૭ કંપનીઓ મહારાષ્ટ્રમાં નોંધાયેલી છે, જ્યારે ૧,૯૭,૩૩૩ કંપનીઓ દિલ્હીમાં, ૧,૨૪,૧૪૮ કંપનીઓ પશ્ચિમ બંગાળમાં નોઁધાયેલી છે એમ કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આજે લોકસભામાં શૂન્ય કલાક દરમ્યાન કહ્યું હતું જે ૬૬,૦૬૩ અનલિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપનીઓ છે તે પૈકી ૧૩,૦૩૦ કંપનીઓ મહારાષ્ટ્રમાં નોંધાયેલી છે જ્યારે ૧૧,૬૦૭ કંપનીઓ દિલ્હીમાં અને ૯૩૧૧ કંપનીઓ પશ્ચિમ બંગાળમાં નોંધાયેલી છે.

Related posts

डिजिटल भुगतान को बढ़ावा देने SBI ने रखा डेबिट कार्ड को खत्म करने का लक्ष्य

aapnugujarat

વર્ષ 2024 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે રહેશે શ્રેષ્ઠ : આ પાંચ ફંડ આપી શકે છે ફાયદો

aapnugujarat

IL&FS મેનેજમેન્ટ પર સરકારનો કબજો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1