નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં ૩૫ લાખ ટનથી વધુ મગફળીના મબલખ પાકનું ઉત્પાદન થયું છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારને મગફળી ટેકાના ભાવે ખરીદવા રાજ્ય સરકારે રજુઆત કરી હતી. તેને કેન્દ્ર સરકારે રાજ્યના કિસાનોના હિતમાં મગફળી ખરીદવા મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે લાભ પાંચમથી જ મગફળી ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરી હતી અત્યાર સુધીમાં ૨૬૦ મંડળીઓ દ્વારા ખેડૂતો પાસેથી રૂ.૨૫૯૮ કરોડની સત્તાવન લાખ પંચોત્તેર હજાર લાખ ક્વીન્ટલ મગફળી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવી છે. રાજ્યમાં ગુજકોટ, ગુજકોમાસોલ, બનાસ ડેરી, સાબર ડેરી, ગુજપ્રો સંસ્થાઓ હેઠળ ૨૬૦ જેટલી સ્થાનિક સહકારી મંડળીઓ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, રાજ્યમાં થયેલ મગફળીના મબલખ ઉત્પાદન સંદર્ભે સંગ્રહ શક્તિનું પ્રમાણ વધારવા માટે ગઇ કાલે મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘ તેમજ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ કામગીરીની સમિક્ષા કરાઇ હતી. અને જિલ્લા કક્ષાએ સંગ્રહશક્તિ વધે તે માટે સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓને પૂરતાં પ્રમાણમાં નવા ગોડાઉન ઉપલબ્ધ બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. આ સંદર્ભે આજે મુખ્ય સચિવશ્રીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીઓને આ કામગીરીને પ્રાધાન્ય આપવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જેનાથી સમયસર ખરીદી થતાં કિસાનોને યોગ્ય ભાવો તેમજ ચુકવણું સમયસર મળશે.
આગળની પોસ્ટ