પંજાબના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુએ ક્રિસમસ ડે પર વિવાદ છેડનારાઓને ધમકી આપતાં જણાવ્યું છે કે પંજાબમાં જો કોઈ ખ્રિસ્તીઓને નીચા પાડવાનો પ્રયાસ કરશે તો તેમની આંખો કાઢી લેવામાં આવશે. અમૃતસરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત એક ક્રિસમસ કાર્યક્રમમાં ક્રિકેટરમાંથી નેતા બનેલ સિદ્ધુએ જણાવ્યું હતું કે જો તમને કોઈ નીચે પાડવાનો પ્રયાસ કરશે તો અમે તેમની આંખો ખેંચી કાઢીશું. ગઈ સાલ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાનાર સિદ્ધુએ જણાવ્યું હતું કે પંજાબમાં કોઈ પણ તહેવારમાં ખલેલ પહોંચાડવા માટે મંજૂરી આપવામાં નહીં આવે. સિદ્ધુએ જણાવ્યું હતું કે તમામ સમુદાય પંજાબમાં શાંતિપૂર્ણ રહે છે અને દરેક વ્યક્તિને કોઈ પણ ધર્મનો પ્રચાર કરવાનો અને ધર્મને અનુસરવાનો સંપૂર્ણ અધિકાર છે.
સિદ્ધુએ વધુમાં જણાવ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભારતીય બંધારણનો એક ભાગ છે. મારી સરકારે ખાતરી આપી છે કે પ્રત્યેક સમુદાયને તેમના ધાર્મિક તહેવાર ઊજવવા માટે તેમને સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણ પૂરું પાડવામાં આવશે. સાથે-સાથે સિદ્ધુએ એવંું પણ જણાવ્યું હતું કે પ્રત્યેક ધર્મના લોકો માટે સુવર્ણ મંદિરનાં દ્વાર ખુલ્લાં છે.