ચકચારભર્યા નરોડા પાટિયા કેસમાં જેલવાસ ભોગવી રહેલા બજરંગ દળના નેતા આરોપી બાબુ બજરંગીએ વધુ એક વખત આંખોની સારવાર માટે ગુજરાત હાઇકોર્ટમાંથી ૨૦ દિવસના કામચલાઉ જામીન માંગ્યા છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે સારવાર અંગેના મેડિકલ પેપર્સ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા હુકમ કરી કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરી છે. સરકારપક્ષને આ બાબતે આગામી મુદતે જરૂરી ખરાઇ કરી જવાબ આપવા પણ હાઇકોર્ટે મૌખિક તાકીદ કરી હતી. ચકચારભર્યા નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં બાબુ બજંરગીને સ્પેશ્યલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જેની સામેની બાબુ બજરંગી સહિતના આરોપીઓની સજાના હુકમને પડકારતી જુદી જુદી અપીલો હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. સ્પેશ્યલ કોર્ટ દ્વારા ફટકારાયેલી આજીવન કેદની સજા અનુસંધાનમાં બાબુ બજરંગી હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અને અગાઉ આંખોની સારવાર માટે હાઇકોર્ટમાંથી હંગામી જામીન પણ મેળવી ચૂકયા હતા.પરંતુ બાબુ બજંરગીને આંખોમાં વધુ તકલીફ થતાં અને તેની સારવાર માટે ચેન્નાઇ જવું જરૂરી બનતાં બજંરગી દ્વારા હાઇકોર્ટમાં વધુ એક વખત કામચલાઉ જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી છે અને આંખોની સારવાર માટે ચેન્નાઇ જવાનું હોવાથી ૨૦ દિવસના હંગામી જામીન આપવા અદાલતને વિનંતી કરાઇ છે. જો કે, હાઇકોર્ટે સરકારપક્ષને અરજદારની સારવાર અંગેની ખરાઇ અને મેડિકલ પેપર્સ સાથેની વિગતો આગામી મુદતે રજૂ કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરી હતી.