દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું છે. જેના કારણે આ સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં તેની જનજીવન પર માઠી અસર પડી છે. સવારે આઠ વાગ્યા સુધી ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. બરફ વર્ષાથી તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે. કારગિલમાં સૌથી વધુ ઠંડી પડી હતી.
ગાઢ ધુમ્મસથી દિલ્હી તરફ જતી ૧૮ ટ્રેનને રદ કરવામાં આવી છે જ્યારે ૨૮ ટ્રેન મોડી દોડી રહી છે. આ ઉપરાંત ત્રણ ટ્રેનનો સમય બદલવામાં આવ્યો છે.દરમિયાન દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૩.૬ ડિગ્રી અને લઘુતમ ૭.૫ ડિગ્રી રહ્યું હતું. જોકે કાશ્મીરમાં થોડું તાપમાન વધતાં લોકોને કાતિલ ઠંડીમાંથી રાહત મળી હતી. પંજાબના ભટીંડામાં સૌથી વધુ ઠંડી પડી હતી. જયાં લઘુતમ તાપમાન ૪.૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે આદમપુર અને અમૃતસરમાં લઘુતમ તાપમાન ૪.૬ અને ૪.૮ ડિગ્રી રહ્યું હતું.
બીજી તરફ લદાખ સહિત અનેક વિસ્તારમાં તાપમાનમાંં વધારો થયો હતો પરંતુ કારગિલમાં તાપામાનનાં વધુ ઘટાડો થતાં ગઈ કાલે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી હતી. જયારે શ્રીનગરમાં પણ લઘુતમ તાપમાનનો પારો ૧.૮ ડિગ્રીથી નીચે રહ્યો હતો. તો રાજસ્થાનમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જેમાં ૨૪ કલાકમાં એકથી ચાર ડિગ્રી તાપમાન ઘટી જતાં ભીલવાડા, ચિત્તોડગઢ અને ચુરુમાં શીત લહેર ફરી વળતાં જનજીવન ઠપ થઈ ગયું હતું. આ ઉપરાંત સવારના આઠ વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતાં તેની વાહનવ્યવહાર પર પણ અસર જોવા મળી હતી.દરમિયાન ઉત્તર કાશ્મીરમાં એલઓસી સાથે સંકળાયેલા ગુરેજ અને નૌગામ સેકટરમાં ફરજ બજાવતા હિમ સ્ખલનની ચપેટમાં આવી જતાં પાંચ જવાનો બરફ નીચે દબાઈ ગયા હતા. તેમાંથી વધુ બે જવાનના મૃતદેહ મળી આવ્યા છે. આ અગાઉ એક જવાનની લાશ મળી હતી. જોકે હજુ બે જવાનના મૃતદેહ મળ્યા નથી. તે અંગે હાલ તપાસ ચાલુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૦ ડિસેમ્બે ગુરેજ સેકટરમાં બગતુર વિસ્તારમાં ભારે હિમપાત થતાં સેનાની ૩૬ આરઆરના ત્રણ જવાન લાપતા થઈ ગયા હતા.