પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીના દાયરામાં લાવવા અંગે નાણામંત્રી અરુણ જેટલીએ આજે સંકેત આપ્યો છે. જેટલીએ એક મહત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું કે, હાલ એક સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ કે જેમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી આ ત્રણેય ચીજોને જીએસટી વ્યવસ્થા હેઠળ લાવવા કેવા પ્રકારનું માળખુ કે આયોજન ઘડી અને અમલ કરી શકાય. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે, અમને આશા છે કે, પેટ્રોલ અને ડીઝલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટને પણ જીએસટીના દાયરામાં લાવવાની બાબત પર રાજ્યો પોતાની સહમતિ દર્શાવશે. રાજ્યસભામાં વિપક્ષી સાંસદો દ્વારા પેટ્રોલિયમ પ્રોડક્ટોને જીએસટીના દાયરામાં લાવવા અંગે કરવામાં આવેલા સવાલનો જવાબ આપતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, અમે પણ પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીની વ્યવસ્થા હેઠળ લાવવાના પક્ષમાં છીએ. રાજ્યસભામાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પુછ્યું હતું કે, જ્યારે ૧૯ રાજ્યો અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીના દાયરામાં લાવવામાં કેમ વિલંબ કરાઈ રહ્યો છે. જીએસટી કાઉન્સિલ આ અંગે પોતાનો નિર્ણય ક્યારે લેશે. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ દ્વારા કરવામાં આવેલા આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, જીએસટીનો ડ્રાફ્ટ યુપીએ શાસન સમયે રજૂ કરાયો હતો જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટને સામેલ કરવામાં આવી ન હતી. આ પાછળનું કારણ એ પણ હતું કે, તેમને એવી શંકા હતી કે આ મુદ્દે કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે સહમતિ સધાઈ નહીં શકાય પણ હવે અમે પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સહમતિની પ્રતિક્ષા કરીશું અને અમને આશા છે કે, આ દિશામાં અમને સફળતા મળશે. વૈશ્વિક બજારમાં કિંમતોમાં ઘટાડા પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો ન થવા અંગેના સવાલના જવાબમાં જેટલીએ કહ્યું કે, આપણે એ ધ્યાન રાખવું જોઇએ કે, દેશના વિવિધ રાજ્યો દ્વારા આ પ્રોક્ટો ઉપર અનેક પ્રકારના વેરા લગાવવામાં આવે છે.