જમ્મુકાશ્મીરના હંદવાડાના ઉનીસમાં ભીષણ અથડામણ થઇ હતી જેમાં ત્રણ ખુંખાર ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. અથડામણ દરમિયાન એક નાગરિકનુ પણ મોત થયુ હતુ. અથડામણ શરૂ થયા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ગયા શનિવારના દિવસે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે એ વખતે ત્રાસવાદીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર ગોળીબાર કરીને ત્રાસવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડી દેવાના પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે. જો કે હાલમાં ભારતીય સેનાના સફળ ઓપરેશન અને અન્ય સુરક્ષા સંસ્થાઓ વચ્ચે સારા સંકલનના કારણે ત્રાસવાદીઓ તેમના ઓપરેશનમાં સફળ સાબિત થઇ રહ્યા નથી. ભારતીય સેનાએ હાલમાં જ ઓપરેશન ઓલ આઉટ હાથ ધરીને ૨૦૦થી પણ વધુ ત્રાસવાદીઓને ઠાર કરી દીધા છે. પાંચમી ડિસેમ્બરના દિવસે પાકિસ્તાની સેનાએ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની સેના વારંવાર ગોળીબાર કરીને તેના છત્ર હેઠળ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના પ્રયાસ કરે છે. જમ્મુ કાશ્મીરમાં સેનાએ હાલમાં ત્રાસવાદીઓની સામે મોરચા ખોલી દીધા છે. છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. કેટલાક ત્રાસવાદીઓને જીવતા પકડી લેવામાં આવ્યા છે. સેના તરફથી હાલમાં જારી કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ હેઠળ ૨૦૫ ત્રાસવાદીઓને ફુંકી મારવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં હથિયારો કબજે પણ કરવામાં આવ્યા છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી જારી રહી છે. હાલમાં લશ્કરે તોયબા અને જેશના મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઠાર થયા છે.